- દહેગામના યુવકની હત્યા કેસમાં ધરપકડ થઈ હતી
- બેરેક નં 9-01માં રવિવારે પરોઢે 4.30 કલાકે બની ઘટના
- સિમેન્ટના બીમ સાથે ટુવાલનો છેડો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં રવિવારે પરોઢે કાચા કામના કેદીએ શૌચાલયમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ રાણીપ પોલીસને કરવામાં આવતા અકસ્માત મોતની નોધ કરી તપાસ શરૂ કરાઈ છે.
પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ દહેગામ તાલુકાના મોટાના મુવાડા ગામના રહેવાસી મૃતક યુવકની હત્યા કેસમાં ધરપકડ કરાઈ હતી. તે છેલ્લા કેટલાક સમયથી કાચા કામના કેદી તરીકે જેલમાં હતો. પોલીસે મૃતક યુવકની આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારના સભ્યો તેમજ બેરેકમાં રહેલા સાથી કેદીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.
નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સર્કલ યાર્ડની બેરેક નં 9-01ના શૌચાલયમાં રવિવારે પરોઢે 4.30 થી 4.45 વાગ્યાના સમયગાળા દરમિયાન કાચા કામના કેદી મલાજી ભગાજી ઠાકોર (ઉં,34)એ સિમેન્ટના આડા બીમ સાથે ટુવાલનો છેડો બાંધી બીજા છેડેથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ ફરજ પરના પોલીસ સ્ટાફે જેલના ઉચ્ચ અધિકારી અને ફરજ પરના ડૉકટરોને કરી હતી. ડૉ.વી.બી.ટાભાણીએ મલાજીને ચેક કરીને મૃત જાહેર કરતા રાણીપ પોલીસને જાણ કરવામાં આવી હતી. રાણીપ પોલીસે સ્થળ પર જઈ બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી મલાજી ઠાકોરે કયા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મૃતક મલાજી ઠાકોરની હત્યા કેસમાં ધરપકડ કરી તેણે નવી સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. પ્રણય ત્રિકોણમાં હત્યા કેસનો બનાવ બન્યાની વિગતો જાણવા મળી જેમાં મલાજીની સંડોવણી આવતા તેની ધરપકડ થઈ હતી.


