- વર્ષે રૂ. 1.5 કરોડનો ખર્ચ કરવા છતાં પણ સાબરમતી નદીમાં સફાઈના નામે મીંડુ
- નદીના પાણીમાંથી આવતી દુર્ગંધ : મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો
- નદીમાં જળકુંભી પથરાઈ ગઈ હોવાના કારણે હાલમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવાઈ
AMC દ્વારા સાબરમતી નદી શુદ્ધિકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં નદીની સફાઇ અને જાળવણી થતી નથી અને તેના કારણે નદીમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ અને જળકુંભી ઊગી નીકળવાને કારણે સાબરમતી નદી પર વનસ્પતિની લીલી ચાદર પથરાઈ ગઈ છે.
નદીમાં જળકુંભી પથરાઈ ગઈ હોવાના કારણે હાલમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે. સાબરમતી નદીમાં સુભાષબ્રિજથી લઈ જમાલપુર બ્રિજ સુધી જળકુંભી પથરાઈ ગઈ હોવાને કારણે દુર્ગંધ પણ આવી રહી છે. જેના લીધે રિવરફ્રન્ટ પર લોકો આવવાનું ટાળી રહ્યા છે. નદીમાં ઠેર ઠેર વનસ્પતિ ઉગી નીકળવાના કારણે મચ્છરો- જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા જળકુંભીને દૂર કરવા વર્ષે દહાડે રૂ. 1.50 કરોડથી ખર્ચ કરવામાં આવે છે. હાલ સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવ્યું છે અને વાસણા બેરેજનો દરવાજો ખોલી નાંખીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે નદીમાં જળકુંભી કરીને આવતી હોય છે હવે વરસાદ પડે અને વધારાનું પાણી જ્યારે આવે ત્યારે શરીરને આગળ નીકળી જતી હોય છે. સાબરમતી નદીને સાફ્ કરવા માટે સ્ટીમર મશીન મૂકવામાં આવે છે. સોમવારે રાતથી મશીનો મૂકી અને કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીમાં જળકુંભી હોવાના કારણે જો બોટ ચાલે તો તે વનસ્પતિ એન્જિનના ભાગમાં ભરાઈ જાય તો મોટું નુકસાન થઈ શકે તેમ હોવાથી અને હાલ પાણીનું લેવલ હોવાથી રિવર કૃઝ ચલાવી શકાય નહીં.


