- પતિ, સાસુ અને સસરા સામે પરિણીતાએ થાન પોલીસમાં ફરિયાદ નોંધાવી
- તબિયત સારી ન હોવાથી સગાઈમાં ન જતા પતિએ ઝપાઝપી કરી હતી
- પીતૃગૃહે રહેતી પરણિતાએ સાસરીયાઓ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
થાનમાં રહેતા પરિવારની દીકરીનાચોટીલાના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના છ માસ બાદ જ સાસરિયાઓ ત્રાસ આપતા હતા. ત્યારે હાલ પીતૃગૃહે રહેતી પરણિતાએ સાસરીયાઓ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ થાનમાં રહેતા પરીવારની દીકરીના લગ્ન ચોટીલાની રૂદ્રભુમિ સોસાયટીમાં રહેતા સંદીપ પ્રવીણભાઈ મંડીર સાથે તા. 2-12-2022ના રોજ થયા હતા. લગ્નના છ માસ બાદ પતિ, સાસુ અને સસરા પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી મેણાંટોણાં મારતા હતા. આ દરમિયાન પરિણીતાની માસીજીના દીકરાની ચોટીલા સગાઈ હોય પરંતુ પરિણીતાની તબિયત સારી ન હોય જવાની ના પાડી હતી. જેમાં પતિ, સાસુ-સસરાએ ઝઘડો કર્યો હતો. અને પતિએ ઝપાઝપી કરતા પરિણીતાને મીસ ડીલીવરી થઈ ગઈ હતી. જેમાં સારવાર બાદ પરિણીતા થાન પિતૃગૃહે જતી રહી હતી. ત્યારે અઠવાડિયા બાદ સમાધાન કરી ફરી પરિણીતાને સાસરે લઈ આવ્યા બાદ સગાઈ બાબતની વાતને લઈ ફરી ઝઘડો કર્યો હતો અને પહેરેલ કપડે પરિણીતાને ઘરેથી કાઢી મુકાઈ હતી. હાલ પિતૃગૃહે રહેલી પરિણીતાએ પતિ સંદીપભાઈ પ્રવીણભાઈ મંડીર, સાસુ જશુબેન પ્રવીણભાઈ મંડીર અને સસરા પ્રવીણભાઈ માધુભાઈ મંડીર સામે ઘરેલુ હિંસાની કલમો સાથે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.આર. મોડ ચલાવી રહ્યા છે.


