- ઝાલાવાડમાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો
- ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિમાર પડેલા બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર તંત્ર દોડતું થયું
- ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી, વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો
સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનારા ચાંદીપુરા વાયરસે હવે ઝાલાવાડમાં એન્ટ્રી લીધી છે. ઝાલાવાડમાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે. ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિમાર પડેલા બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર તંત્ર દોડતું થયું છે. અત્યાર સુધી રાજ્યમાં આ વાયરસના ઘણા કેસો સામે આવ્યા છે.
ઝાલાવાડમાં ચુડા તાલુકાનો આ પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ
ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છોટાઉદેપુર તાલુકાનું એક કુંટુબ ખેત મજુરી કામ કરવા આવ્યું છે, જેના 11 વર્ષના બાળકને તાવ સાથે આંચકી આવતા તેને પ્રથમ ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી હતી અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો હતો, ત્યારે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં આ બાળકના લક્ષણો ચાંદીપુરા જેવા જણાતા તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને જેનો આજે મોડી સાંજે રીપોર્ટ પોઝિટિવ આવતા ઝાલાવાડમાં ચુડા તાલુકાનો આ પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં સાત માસના બાળકમાં લક્ષણો દેખાયા છે. તેમજ ગોંડલના અનિડા ગામથી બાળકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. બાળકનો પરિવાર એક માસ પહેલા મધ્યપ્રદેશથી અનિડા વસવાટ માટે અને ખેત મજૂરી કામ માટે પરિવાર અનિડા ગામે આવ્યો હતો. બાળકના સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે.
કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાએ CMને લખ્યો પત્ર
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ચાંદીપુરા વાયરસને કોઈ પણ રીતે અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાગરિકો ચાંદીપુરા વાયરસથી ભયભીત છે. આ વાયરસના કારણે ઘણા નાના બાળકોના મોત થયા છે. ત્યારે વાયરસના ચેપને અટકાવવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસ 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકમાં સૌથી વધારે જોવા મળે છે.


