- 24 વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારથી જ ભ્રષ્ટાચારી કાર્યપદ્ધતિ હતી
- ધર્મેન્દ્ર શાહે ટ્રેક્ટર- ટ્રોલીના ખોટા ફેરા દર્શાવી કરોડોના બિલો મંજૂર કર્યા હતા
- ભ્રષ્ટાચારના મૂળિયા ત્યારે તેમના દ્વારા જ રોપવામાં આવ્યા હોવાનું દ્રઢપણ માનવામાં આવે છે
ભારતીય જનતા પક્ષના સહ કોષાધ્યક્ષ અને પ્રભારી પદેથી હકાલપટ્ટી કરાયેલા ધર્મેન્દ્ર શાહ ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારથી કાંકરિયા તળાવ ઊંડુ કરવાના નામે આચરાયેલા કૌભાંડથી જ તેઓ ભ્રષ્ટાચારી તરીકે કુખ્યાત થયા હતા.
આમ, લગભગ 24 વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારથી જ તેના લોહીમાં અને કાર્યપદ્ધતિમાં ભ્રષ્ટાચાર હતો. ધર્મેન્દ્ર શાહ AMCમાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે કાંકરિયા તળાવ ઊંડુ કરીને તેમાં વધુ પાણીનો સંગ્રહ કરવા માટે તળાવમાંથી ખોદેલી માટી બહાર ઠાલવવા માટે ટ્રેક્ટર ટ્રોલીના ખોટા ફેરા દર્શાવીને લાખો રૂપિયાના ખોટા બિલો મંજૂર કરીને મળતિયા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડોનું કૌભાંડ આચર્યું હતું. કાંકરિયા તળાવમાંથી માટી કાઢીને તળાવને ઊંડુ કરવા માટે આચરવામાં આવેલા કૌભાંડને કારણે ધર્મેન્દ્ર શાહ ભારે વિવાદમાં સપડાયા હતા અને કાંકરિયા કૌભાંડના કારણે ધર્મેન્દ્ર શાહ ચર્ચાને ચકડોળે ચડયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડોનું કાંકરિયા કૌભાંડ આચરવામાં આવ્યા પછી મોવડીમંડળની મહેરબાનીથી ધર્મેન્દ્ર શાહ મ્યુનિ. ભાજપના નેતા અને વિપક્ષી નેતા તરીકેના હોદ્દા પર પણ ભોગવ્યા હતા અને AMCના કરોડોના કામોમાં સીધી અને આડકતરી રીતે સક્રિય ભૂમિકા ભજવીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
દરમિયાન AMCમાં થઈ રહેલી ચર્ચા મુજબ, 2005માં ભાજપએ કોર્પોરેશનમાં પુનઃ સત્તા હાંસલ કરેલી ત્યારે પક્ષના નેતા તરીકે ધર્મેન્દ્ર શાહને બનાવવામાં આવેલા. આ સમયે એએમસીની સામાન્ય સભામાં ધર્મેન્દ્ર શાહનો તોર ઉદ્ધતાઈની હદનો રહેતો હતો. ભ્રષ્ટાચારના મૂળિયા ત્યારે તેમના દ્વારા જ રોપવામાં આવ્યા હોવાનું દ્રઢપણ માનવામાં આવે છે. પક્ષને આગળ વધવા, ચૂંટણીમાં સફળતા મેળવવા જે ભંડોળની જરૂર પડે તે સાવ મંડળીની જેવું વલણ રાખવાથી ભેગું થવાનું નથી, આના માટે જે કરવું પડે તે કરવાનું જ હોય, તેવી શેખી તેઓ મારતા.


