- વધુ કેસ અને મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે
- છેલ્લે જૂન મહિનામાં નવા 27 કેસ, એક પણ મોત નહીં
- દેશમાં છેલ્લા છ મહિનામાં સ્વાઈન ફૂલના 7,215 કેસ
ગુજરાતમાં જાન્યુઆરીથી જૂન 2024 એમ છેલ્લા છ મહિનામાં સ્વાઈન ફલૂના 1,049 કેસ નોંધાયા છે જ્યારે 27 દર્દી સારવાર દરમિયાન મોતને ભેટયા છે. છેલ્લે જૂન મહિનામાં ગુજરાતમાં નવા 27 કેસ સામે આવ્યા છે જ્યારે આ એક મહિનાના અરસામાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. દેશમાં સ્વાઈન ફલૂના વધુ કેસ અને મોત મામલે ગુજરાત બીજા નંબરે છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા છ મહિનામાં એચ1એન1 એટલે કે સ્વાઈન ફૂલના 7,215 કેસ સામે આવ્યા છે, જે પૈકી 150 દર્દીઓનાં મોત થયા છે. સૌથી વધુ દિલ્હીમાં 1563 કેસ છે અલબત્ત ત્યાં સરકારી ચોપડે એક પણ દર્દીનું મોત નથી. સૌથી વધુ મોત પંજાબમાં 41 નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લે મે 2024ના અરસામાં નવા 35 કેસ આવ્યા હતા, જે પૈકી બે દર્દીઓનાં મોત થયા હતા. ગત વર્ષ 2023માં ગુજરાતમાં 212 કેસ અને ત્રણ દર્દીનાં મોત હતા, આ સરખામણીએ અત્યારે કેસનું પ્રમાણ વધુ છે. ગુજરાતમાં જે કેસ સામે આવ્યા તેમાં ઉંમર લાયક હોય, અન્ય કોઈ બીમારી હોય તેવા દર્દી વધુ નોંધાયા હતા, કારણ કે તેમને ચેપ લાગવાનો ખતરો વધુ રહે છે. તાવ આવે, ઠંડ લાગે, ગળામાં દુઃખાવો, માંસપેશીમાં દુઃખાવો, અશક્તિ વગેરે સ્વાઈન ફલૂના લક્ષણો છે. ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં 2,174 કેસ અને 71 દર્દી મોતને ભેટયા હતા. વર્ષ 2021ના અરસામાં 33 કેસ અને બે મોત નોંધાયા હતા.


