- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના બેવડા ધોરણ સામે આવ્યા
- ધારાસભ્ય અમિત શાહ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે
- ધારાસભ્યે રજૂઆત રતા સંકલનમાં હાજર અધિકારીઓ ચોકી ઉઠ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આડેધડ નિર્ણય કરવામાં આવે છે. જેનાથી ભવિષ્યમાં લોકોને હેરાન થવું પડે તેવી સ્થિતિ છે અથવા તો જીવ પણ જઈ શકે છે. હાલમાં અમદાવાદને મુંબઈ બનાવવાની જાણે કે હોડ જામી હોય તેમાં હાઈ રાઇઝ બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવે છે પરંતુ સગવડતાના નામે મીંડુ છે આખરે કેમ આવો જાણીએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના બેવડા ધોરણ સામે આવી રહ્યા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના બેવડા ધોરણ સામે આવી રહ્યા છે. રાજ્યમાં ક્યાંય પણ કોઈપણ બનાવ બને એટલે જાણે કે દેખાડા માટે કામગીરી કરવામાં આવતી હોય તેમ તૂટી પડે છે અને લોકોની ભૂલો શોધી લાખોના દંડના ઉઘરાણા કરવા લાગી પડે છે. પરંતુ તેમની બેદરકારી કે ભૂલો સુધારવામાં તંત્રને રસ નથી. જીહા રાજકોટમાં અગ્નિકાંડ થયો તો પણ નીમ્ભર તંત્રને જાણે કે લોકોના જીવની કાંઈ પડી ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં અમદાવાદમાં 35 થી 40 માળના હાઈ રાઇઝ બિલ્ડીંગ બનાવવાની મંજૂરીઓ આપી દેવામાં આવે છે પરંતુ ફાયર વિભાગ પાસે એવા સાધનો નથી કે તે 35 કે 40મા માળ પર આગ લાગે તો તેને કાબુ કરી શકે.
તરસ લાગે ત્યારે જ કેમ તંત્ર કૂવો ખોદવા બેસે છે
મહત્વનું છે કે સંકલન સમિતિ બેઠક મળી તેમાં ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેથી સંકલનમાં હાજર અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા. હાલમાં કોર્પોરેશન પાસે ફાયર વિભાગ પાસે જે વાહનો છે તે માત્ર 22 માળ સુધી આગ પર કાબુ મેળવી શકે તેવા સાધનો છે. તેવું અધિકારીઓએ સ્વીકાર્યું હતું અને બાંહેધરી આપી હતી કે આગામી સમયમાં 35 થી 40 માળ સુધી આગ પર કાબુ મેળવી શકે તેવા સાધનો વસાવી લેવામાં આવશે. પરંતુ અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે તરસ લાગે ત્યારે જ કેમ તંત્ર કૂવો ખોદવા બેસે છે એ પહેલા અગમચેતીના ભાગ રૂપે કેમ કોઈ કામગીરી નથી કરતુ શું ધારાસભ્ય રજુઆત કરે બાદમાં જ તંત્રને ખ્યાલ આવે છે કે પહેલા સુરક્ષા માટે વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.


