- વાતાવરણને લીધે શાકભાજીમાં ઈયળ આવી જાય : સંચાલકની નફ્ફટાઈ
- કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવા છતાં રસોડું ચાલુ રાખ્યું, દંડ ફટકારાશે
- ફરિયાદ બાદ મ્યુનિ.આરોગ્ય ટીમ પહોંચી ગઇ હતી અને હોટેલ સીલ કરી દીધી હતી.
મણિનગરમાં કાંકરિયા પાસે જાણીતી પુરોહિત રેસ્ટોરાંમાં ગુજરાતી ભોજનથી ઈયળ નીકળતાં હોબાળો થયો હતો. હોબાળા બાદ મ્યુનિ.કોર્પોરેશનની ટીમ પહોંચી હતી અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવા છતાં રસોડું ચાલુ રાખવામાં આવતાં રેસ્ટોરન્ટ સીલ કરાઇ હતી.
રેસ્ટોરન્ટના ખુલાસા બાદ દંડ પણ વસૂલાશે. ઓનલાઇન ટિફિન મગાવાયું હતું. ટિફિનમાંથી જમવાનું પીરસતાં જ નજર ગઈ હતી. આ અંગે જાણ કરતાં હોટેલના સંચાલકે ચોમાસાના વાતાવરણના લીધે શાકભાજીમાં ઇયળ આવી ગઇ હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો અને બીજું ટિફિન મોકલી આપવાની ઓફર કરીને હાથ ઊંચા કરી દીધા હતા.
શહેરમાં છેલ્લા એક મહિનામાં ભોજનમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો જારી છે. સોમવારે ખોખરાના નગરસેવકના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓેએ કાંકરિયા પાસેની પુરોહિત રેસ્ટોરાંમાંથી ઓનલાઇન ભોજન મગાવ્યું હતું. ઓનલાઇન ટિફિનમાંથી ભોજન પીરસતાં જ ઇયળ દેખાઈ હતી. બીજીતરફ કર્મચારીએ ઓનલાઇન ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ મ્યુનિ.આરોગ્ય ટીમ પહોંચી ગઇ હતી અને હોટેલ સીલ કરી દીધી હતી. હવે રેસ્ટોરન્ટ માલિકના ખુલાસા બાદ દંડાત્મક કાર્યવાહી કરાશે.
નિયમ વિરુદ્ધ હોવાથી સીલ કરાઈ : AMC
મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, કોઇ પણ રેસ્ટોરન્ટમાં કન્સ્ટ્રક્શનમાં કામ ચાલતુ હોય ત્યારે રસોડું બંધ રાખવાનો નિયમ છે. પરંતુ પુરોહિત રેસ્ટોરન્ટમાં કન્સ્ટ્રક્શનની સાથે રસોડું ચાલુ રાખવામાં આવતાં રેસ્ટોરાં સીલ કરી દેવાઈ છે.


