- પ્રાંતિજમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ
- પ્રાંતિજમાં નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
- પાણી ભરાતા જનજીવન ખોરવાયું, લોકો પરેશાન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આભ ફાટયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રાંતિજમાં ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકયો છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પ્રાંતિજ પાણી પાણી
મેઘરાજાએ ચાર કલાક ધમાકેદાર બેટિંગ કરતા પ્રાંતિજમાં પાણી પાણી થઈ ગયુ છે અને શહેરની વૃંદાવન સોસાયટી, શાંતિનાથ સોસાયટી એપ્રોચરોડ, રેલ્વે અંડરબ્રિજ , સબજેલ પાસે હાઈવે, ભોઈવાસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી લોકોના મકાનોમાં પણ ઘુસી ગયા છે અને ઘરમાં પાણી ઘૂસી જતા લોકો હાલમાં વરસાદી પાણી બહાર કાઢવા મથી રહ્યા છે.
પ્રિ મોન્સુન કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા
પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે અને ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકો ભારે પરેશાન થયા છે. બીજી તરફ પાણી ભરેલા રહે તો રોગચાળાની દહેશત પણ રહેલી છે. પ્રાંત ઓફિસની બિલકુલ પાછળ સોસાયટીમાં પાણી ભરાયા છે અને પ્રાંતિજ પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા
પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદથી ખેતરોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે અને ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મગફળી, સોયાબીન જેવા પાક અને અન્ય શાકભાજીના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.
કુલ 201 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યમાં સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી કુલ 201 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પ્રાંતિજમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ વિસનગર, મહેસાણામાં 6-6 ઈંચ વરસાદ, લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5-5 ઈંચ, તલોદ, હિંમતનગર અને મોડાસામાં 4 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે.
મહેસાણાના વિસનગરમાં ધોધમાર વરસાદ
મહેસાણાના વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતાના મતવિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. વિસનગરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. વરસાદના કારણે ખેડૂતોના પાકને જીવતદાન મળશે અને ખેડૂતો આર્થિક નુકસાનમાંથી બચી જશે.


