- પીએમ મોદી 3 અને 5 સપ્ટેમ્બરની વચ્ચે બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતે
- બ્રુનેઈની મુલાકાત લેનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન
- તેમણે તેમના પ્રથમ કાર્યકાળના અંતે સિંગાપોરની મુલાકાત લીધી હતી
પીએમ મોદી 3 અને 5 સપ્ટેમ્બરની વચ્ચે બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતે જઈ રહ્યા છે. દ્વિપક્ષીય વાટાઘાટો માટે બ્રુનેઈની મુલાકાત લેનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે. આ અગાઉ 2013માં તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે બ્રુનેઈ ગયા હતા. જ્યારે વડાપ્રધાન મોદી લગભગ 6 વર્ષના ગાળા બાદ સિંગાપોરની મુલાકાતે છે.
બ્રુનેઈ અને સિંગાપોર બંને ભારત માટે મહત્વપૂર્ણ
પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળના અંતે તેમણે સિંગાપોરની મુલાકાત લીધી હતી. બ્રુનેઈ અને સિંગાપોર બંને ભારત માટે મહત્વપૂર્ણ છે. જ્યારે બ્રુનેઈ પાસે હાઈડ્રોકાર્બન (ક્રુડ ઓઈલ)નો પુષ્કળ ભંડાર છે, ત્યારે સિંગાપોરથી ભારતમાં સીધું વિદેશી રોકાણ (FDI) આવી રહ્યું છે. સિંગાપોર ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને આસિયાન દેશોમાં સૌથી મોટું વેપારી ભાગીદાર છે.
રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષ પૂરા
વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની બ્રુનેઈની મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષ પૂરા કરશે. તેઓ સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈની મુલાકાતે છે. બ્રુનેઈ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઈન્ડો-પેસિફિકના તેના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.
બ્રુનેઈ સાથે લોકો વચ્ચેના આદાનપ્રદાનને મજબૂત કરશે
મજુમદારે જણાવ્યું હતું કે આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય સહયોગ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ તેમજ બ્રુનેઈ સાથે લોકો વચ્ચેના આદાનપ્રદાનને મજબૂત કરશે. નવા ક્ષેત્રોમાં સહકારની તકો શોધવામાં આવશે. ભારત અને બ્રુનેઈ સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવા માટે કામ કરી રહ્યા છે.
બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મોટા સ્તરે લઈ જશે
જયદીપ મજમુદારે કહ્યું કે, વડાપ્રધાન મોદી સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. આ ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હેઠળ ભાગીદારી માટે ઓળખાયેલા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મોટા સ્તરે લઈ જશે. સિંગાપોર સાથેના ભવિષ્યમાં સહકારના કેટલાક નવા ક્ષેત્રો ડિજીટલાઇઝેશન, ટકાઉ કૌશલ્ય, આરોગ્ય, અદ્યતન ઉત્પાદન અને કનેક્ટિવિટીમાં ઓળખાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
આ મુલાકાત સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપશે
તેમણે કહ્યું, અમને આશા છે કે આ મુલાકાત સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપશે. મુલાકાત દરમિયાન પીએમ મોદી સિંગાપોરમાં કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) અને અન્ય બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે. આ મુલાકાત અમારા રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ સાથે પણ સુસંગત હશે, જે અમે 2025માં ઉજવીશું અને સિંગાપોર સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારીના દસમા વર્ષની ઉજવણી કરશે.
પીએમ મોદીની સિંગાપોરની મુલાકાત કેમ ખાસ?
વડાપ્રધાન મોદી 4 સપ્ટેમ્બરે સિંગાપોરની બે દિવસીય મુલાકાતે જશે. પીએમ મોદીની સિંગાપુરની આ પાંચમી મુલાકાત હશે. તેઓ વડાપ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપુર જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમને પણ મળશે. આ સાથે સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથેની તેમની મુલાકાત આ પ્રવાસનો મહત્વનો મુદ્દો છે.


