વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાની મુલાકાત દરમિયાન ‘મિત્ર વિભૂષણ’ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ કોઈ વિદેશી દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલો પ્રથમ એવોર્ડ નથી પણ 22મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. આ સન્માન વડાપ્રધાન મોદીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને બંને દેશોના સહિયારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના તેમના અસાધારણ પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે.
આ 140 કરોડ ભારતીયોનું સન્માન: વડાપ્રધાન મોદી
શ્રીલંકાના ‘મિત્ર વિભૂષણ’ મેડલ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે શ્રીલંકાના મિત્ર વિભૂષણથી સન્માનિત થવું મારા માટે ગર્વની વાત છે. આ મેડલ ભારત-શ્રીલંકા સંબંધોની ઊંડાઈ અને હૂંફને પ્રતિબિંબિત કરે છે. આ સન્માન ફક્ત મારું નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાને શ્રદ્ધાંજલિ છે.
ભારત-શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો
આ મેડલને ધર્મના ચક્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે બંને દેશોની સાંસ્કૃતિક પરંપરાઓને આકાર આપનાર સહિયારા બૌદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તે નવ કિંમતી રત્નોથી જડિત છે, જે કમળની પાંખડીઓથી ઘેરાયેલા ગોળામાં દર્શાવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીને આપવામાં આવેલું આ સન્માન શ્રીલંકા અને અન્ય દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરે છે. આ સન્માન ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાને પણ પ્રતિબિંબિત કરે છે.
શ્રીલંકા ફક્ત આપણો પાડોશી જ નહીં પણ આપણો પરંપરાગત મિત્ર પણ: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે શ્રીલંકા ફક્ત આપણો પાડોશી જ નહીં પણ આપણો પરંપરાગત મિત્ર પણ છે. ભારત અને શ્રીલંકા સમાન સુરક્ષા હિતો ધરાવે છે. અમે મિત્ર દેશોને પ્રાથમિકતા આપીએ છીએ. બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા છે. બંને દેશોની સુરક્ષા એકબીજા પર આધારિત છે. શ્રીલંકા ફરી પ્રગતિના માર્ગ પર છે. શ્રીલંકાના લોકોની ધીરજ અને હિંમતને સલામ. ભારત શ્રીલંકાને આર્થિક મદદ કરશે.


