રાજકોટનો આજે દેખાતો વિકાસ રૂપાણીને આભારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીની વસમી વિદાય થઈ છે ત્યારે આ શહેરવાસીઓ પણ સ્તબ્ધ બન્યા છે. અદના લોકોને પણ તેમની વાતો યાદ રહી છે. રાજકોટવાસીઓ કોઈ પણ પ્રશ્ન લઈને જાય તો તેને ઉકેલવા માટે અધિકારીઓને ત્વરીત સૂચના આપી દેતા હતા. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના મોટા ભાગના ભાષણોમાં કહેતા હતા કે રાજકોટવાસીઓ માટે તો અત્યારે મોસાણે જમણ અને મા પિરસનાર જેવું છે. મારી પાસે વિકાસની કોઈ પણ યોજના લઈને આવો. આર્થિક પ્રશ્નોની ચિંતા કરતા નહિ રાજય સરકાર તમારી સાથે છે.
રાજકોટ માટે કંઇક કરી છૂટવાની તેની આવી ભાવનાને કારણે જ રાજકોટવાસીઓને વિજયભાઇ રૂપાણીના નિધનના સમાચારથી ભારે આઘાત લાગ્યો છે. ગઇકાલે જયારે તેમના નિધનના સમાચાર હજુ કન્ફર્મ થયા ન હતા ત્યારથી જ પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના નિવાસ સ્થાને પ્રાર્થનાનો દૌર શરૂ થયો હતો. સાંજ સુધીમાં તેમના નિધનના સમાચારની પુષ્ટિ થતાં તેમના નિવાસ સ્થાને આડોશ-પાડોશ સહિત ભાજપના સ્થાનિય નેતાઓ અને કાર્યકરોની ભીડ ઉમટી પડી હતી. તમામ મોઢે એક જ વાત હતી કે આજે આપણે રાજકોટનો વિકાસ પુરૂષ ખોયો છે.
રાજકોટના પાણીના પ્રશ્નો હોય કે ટી.પી.ની સમસ્યા તેમના સુધી પહોંચે એટલે ઉકેલ મળી જ રહેતો તેમ એક સિનિયર કોર્પોરેટરે કહયું હતું. રાજકોટના રેસકોર્સ પાર્ટ ૨ માટે જમીનની ફાળવણી અને આ માટે ટી.પી. યોજના ઝડપથી બને તેમાટે તેમણે આદેશો કર્યા હતા. ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી હરેશ જોશીએ કહયું હતું કે રાજકોટથી આવતા કોઈ પણ ડેલીગેશન માટે તેમના દ્વાર કાયમ ખુલ્લા રહેતા. ગમે તેવી વ્યસ્તતા હોય રાજકોટવાસીઓને તેમનો સમય મળી જતો. માત્ર રાજકોટ જ નહી પરંતુ રાજયના લોકો માટે તેઓ પોતીકા હોય તે રીતે ડાઉન ટુ અર્થ રહીને વર્તન કરતાં હતાં. ખાસ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રના પત્રકારો સાથે તેઓનો આત્મીય નાતો આજે મીડિયા ક્ષેત્રમાં યાદ કરાઇ રહ્યો છે.