બાળકોમાં આજે સ્પર્ધા વધી છે. આજે ફ્કત રમતગમત જ નહીં પરંતુ અભ્યાસમાં પણ બાળકો સારો દેખાવ કરવાનું દબાણ રહે છે. આજે 90 ટકા આવ્યા બાદ પણ બાળકો ડિપ્રેશનમાં જોવા મળે છે. બાળકોમાં માનસિક તણાવ ઘટાડવા યોગ એક ઉત્તમ પદ્ધતિ છે. બાળકોની માનસિક શક્તિ વધારવા આ આસન વધુ ઉપયોગી બનશે.
વૃક્ષાસન (Vrikshasana) કરવાથી યાદશક્તિ વધે છે. અભ્યાસમાં વધુ સારો દેખાવ કરવા અને તેજસ્વીતા વધારવા બાળકો માટે આ આસન વધુ લાભદાયી છે. આ આસન કરવાથી શરીર અને મન બંનેને ઘણા ફાયદા થાય છે. જાણો આ આસનના ફાયદા અને કઈ રીતે આ આસન કરવું જોઈએ.
વૃક્ષાસન કરવાની પદ્ધતિ :
આ આસન કરવા તમે સૌ પ્રથમ તાડાસન કરો તેમ સીધા ઊભા રહો અને પછી બંને પગ સાથે રાખો. પછી હાથ બાજુમાં રાખો અને શરીર ઢીલું રાખો. ત્યારબાદ બે પગમાંથી એક પગ વાળો અને પછી ધીરે ધીરે ડાબો અથવા જમણો પગ વાળો અને તેને બીજા પગની જાંઘ પર રાખો. પગની એડી યોનિની નજીક રહેવી જોઈએ અને અંગૂઠો ઉપર તરફ રહેવો જોઈએ. તમારા વાળેલા પગના તળિયેનો ભાગ જાંઘ સાથે મજબૂતપણે ટેકવો. અને ત્યારબાદ ઊભેલા પગ પર સંતુલન જાળવો.
આ આસન કરતી વખતે શ્વાસ શાંત રાખો અને એક સ્થિર બિંદુ તરફ જુઓ. આમ કર્યા બાદ બંને હાથને પ્રાર્થનાની મુદ્રામાં જોડીને મસ્તક ઉપર લાવો. હાથ સીધા રાખો અને શરીરને ખેંચો. આ સ્થિતિમાં શ્વસનક્રિયા સામાન્ય રાખી 20-30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો. પછી ધીરેધીરે હાથ નીચે લાવો, વાળેલો પગ નીચે મૂકો અને ફરીથી તાડાસનની સ્થિતિમાં પાછા આવો.
આ છે વૃક્ષાસન કરવાના ફાયદા : આ આસન કરવાથી શારીરિક સંતુલન સાથે માનસિક સ્થિરતા પણ વધે છે. બાળકો આ આસનનો નિયમિત અભ્યાસ કરે તો એકાગ્રતા વધશે જે તેમના અભ્યાસ માટે વધુ ફાયદાકારક બનશે. આ આસન કરવાથી પગના મસલ્સ, ઘૂંટણ અને પિંડળીના ભાગને મજબૂતી મળે છે. તેમજ હાથનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખભા અને હાથની લવચીકતા વધે છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા બાળકો આ આસન કરે તો ધ્યાનશક્તિ વધશે.
ધ્યાનમાં રાખો : જે લોકોને પગમાં ઘૂંટણમાં દુખાવો રહેતો હોય અને પ્રસૂતાએ આ આસન કરવાનું ટાળવું. લોકોએ ડોક્ટરની સલાહ મુજબ યોગાસનો કરવા.