મિડલ ઇસ્ટમાં અત્યારે સ્થિતિ ભયાવહ છે. 13 જૂનથી ઇઝરાયલ અને ઇરાન વચ્ચે જંગ શરૂ થઇ હતી. આ બંને દેશના શહેરોમાં મોટુ નુકસાન થયુ છે. લોકો પલાયન કરી રહ્યા છે. તેવામાં છેલ્લા 12 કલાકમાં ઇઝરાયલે તાબડતોબ ઇરાન પર હુમલો કરતા ઇરાનની ઇસ્ફહાન ન્યુક્લિઅર સાઇટને નિશાને બનાવી હતી. આ હુમલાથી ઇરાનની ગુપ્ત એજન્સીના 3 વરિષ્ઠ નાગરિક સહિત કુલ 15 સૈનિકો માર્યા ગયા છે.
ઇઝરાયલે ઇરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોપર્સની કુદ્સ ફોર્સની વેંપસ ટ્રાન્સફર યુનિટના કમાન્ડર બહનામ શાહરિયારીનો ખાત્મો બોલાવી દીધો છે. આઇડીએફએ જણાવ્યું કે આઇઆરજીસીની કુદ્સ ફોર્સ વેંપસ ટ્રાન્સફર યુનિટના કમાન્ડર બહનામ શાહરિયારીને પશ્ચિમી ઇરાનમાં આઇડીએફના હવાઇ હુમલામાં માર્યા છે.
ઇઝરાયલે કર્યો હુમલો
ઇઝરાયલથી લગભગ 1000 કિમી દૂર શહરિયારીની તેમના વાહનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ પશ્ચિમ ઇરાન જઈ રહ્યા હતા. તેઓ મધ્ય પૂર્વમાં તેમના પ્રોક્સી સાથીઓને શસ્ત્રો પહોંચાડવા માટે જવાબદાર હતા. તેઓ વર્ષોથી ઇઝરાયલનો નાશ કરવાના ઇરાદાથી આતંકવાદી સંગઠનોને શસ્ત્રો પૂરા પાડતા હતા. તેઓ હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા સંગઠનો સાથે સીધા કામ કરતા હતા. તેઓ તેમને મિસાઇલો અને રોકેટ સહિત અત્યાધુનિક શસ્ત્રો પૂરા પાડતા હતા.
ઇરાની સેનાના વરિષ્ઠ કમાન્ડરનું મોત
જ્યારે ઇઝરાયલી સેના IDF એ જણાવ્યું હતું કે ઇઝરાયલનો નાશ કરવાની યોજના બનાવી રહેલા ઇરાની સેનાના એક વરિષ્ઠ કમાન્ડર, સઈદ ઇઝાદીનું મોત થયું છે. ઇઝાદી કુદ્સ ફોર્સના કમાન્ડર પણ હતા, જે ઇરાની સરકાર અને હમાસ વચ્ચે મુખ્ય સંકલનકાર હતા. તેઓ IRGCના વરિષ્ઠ કમાન્ડરો અને હમાસ અને ઇરાની સરકારના ટોચના અધિકારીઓ વચ્ચે લશ્કરી સંકલનનો હવાલો સંભાળતા હતા. તેમણે ઇઝરાયલ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઇરાન દ્વારા હમાસને આપવામાં આવતા ભંડોળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઇઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ IRGCના બીજા UAV બ્રિગેડના કમાન્ડર અમીનપુર જોડકીને પણ મારી નાખ્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ઈરાનમાં 650 થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 2000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઇઝરાયલમાં પણ 25 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.