જામજોધપુર શહેર ભાજપ મહામંત્રીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા જામજોધપુરના રાજકીય વર્તુળમાં ચકચાર સાથે શોકની લાગણી વ્યાપી છે.
જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢી ધરાવતા પરેશભાઈ મગનલાલ બકોરી (ઉ.વ.-52) એ તારીખ 29 મી નવેમ્બર ની રાત્રે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર થયા મુજબ આત્મહત્યા કરનારા પરેશભાઈએ કોઈ સ્યૂસાઈડ નોટ કે પોતાના મોબાઈલમાં કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આત્મહત્યાનું કારણ દર્શાવતી કોઈ વિગતો મુકી નથી. પોલીસ દ્વારા મૃતકના બહેન પ્રફ્લ્લાબેન દીપકભાઈ કનેરીયાનું નિવેદન લઈ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના પ્રતિષ્ઠિત વેપારીની છાપ ધરાવતા બે પુત્રીઓના પિતા એવા ભાજપાના મહામંત્રીના અચાનક આપઘાતનું પગલું ભરવાના આ બનાવથી રાજકીય વર્તુળ, પટેલ સમાજમાં શોકની લાગણી વ્યાપી છે.


