દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને જોતા સરકારે વાહનો અંગે કડક પગલાં લીધાં છે. 18 ડિસેમ્બરથી દિલ્હીમાં ફક્ત BS6 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે દિલ્હીની બહાર નોંધાયેલા BS3 અને BS4 વાહનો હવે રાજધાનીના રસ્તાઓ પર નહીં દોડી શકે. આ નિર્ણય પ્રદૂષણ ઘટાડવા અને જનતાને સ્વચ્છ હવા પૂરી પાડવા માટે લેવામાં આવ્યો છે.
BS4 અને BS6 વચ્ચે કેટલો તફાવત?
BS એટલે ભારત સ્ટેજ ઈમિશન સ્ટેન્ડર્ડ હોય છે, જે નક્કી કરે છે કે વાહન કેટલું પ્રદૂષણ ફેલાવે છે. BS4 વાહનો જૂના નિયમો હેઠળ આવે છે, જ્યારે BS6 નવા, વધુ કડક નિયમો પર આધારિત છે. BS6 નિયમોનો ઉદ્દેશ્ય વાહનોમાંથી નીકળનારા ઝેરી ધુમાળામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો છે. BS4 વાહનોમાં વપરાતા ફ્યઅલમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે BS6 ફ્યુઅલ વધુ સ્વચ્છ હોય છે. BS6માં સલ્ફરનું પ્રમાણ ખુબ જ ઓછું કરી દેવામાં આવ્યું છે, જેના કારણે વાહનોમાંથી નીકળનારો ધુમાળો ઓછો હાનિકારક બન્યો છે. વધુમાં, BS6 વાહનોમાં નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું ઉત્સર્જન પણ નોંધપાત્ર રીતે ઓછું થયું છે. ડીઝલ ગાડીઓમાં આ તફાવત વધુ જોવા મળે છે.
BS6 વાહનોમાં નવી ટેક્નોલોજી
BS6 વાહનોમાં ઘણી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે જે પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં ખાસ ફિલ્ટર્સ અને સેન્સરનો સમાવેશ થાય છે જે એક્ઝોસ્ટને સાફ કરે છે અને મોનિટર કરે છે કે વાહન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ ઉત્સર્જિત કરી રહ્યું છે કે નહીં. જોકે, આ વાહનોને યોગ્ય રીતે ચલાવવા માટે, BS6 ફ્યુઅલનો ઉપયોગ કરવો જરૂરી છે.
દિલ્હી સરકારના નિર્ણયની અસર
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં BS3 અને BS4 વાહનો કાર્યરત છે. આ વાહનોને પ્રતિબંધિત કરવાથી રસ્તાઓ પર પ્રદૂષિત વાહનોની સંખ્યા ઘટશે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી હવાની ગુણવત્તામાં સુધારો થશે અને લોકોને શ્વસન રોગોથી રાહત મળશે.
આ પણ વાંચો: Weather News: દિલ્હીમાં હવામાનની ભયજનક આગાહી! ફ્લાઇટ્સ અને ટ્રેનો પર પડી અસર


