નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત : 33 વર્ષ બાદ ગુજરાત વાઘ ધરાવતા રાજયમાં આવ્યું : પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સાહ
ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઇગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 33 વર્ષથી વાઘની ગેરહાજરી બાદ આ દરજ્જો પરત મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક સાડા ચાર વર્ષનો નર વાઘ કાયમી ધોરણે સ્થાયી થયો છે. વાઘની સતત હાજરી અને તેના અનુકૂળ રહેઠાણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના સિંહો એ એશિયામાં સૌથી વધુ જાણીતા છે અને અન્ય વનસૃષ્ટિ પણ રાજયમાં સહેલાણીઓને આકર્ષે છે તે વચ્ચે હવે ગુજરાત આગામી વર્ષે ફરી એક વખત સતાવાર રીતે વાઘ ધરાવતું રાજય બની જશે. દાહોદ જીલ્લાના રતનમહાલમાં છેલ્લા 10 માસથી વસવાટ કરી રહેલા એક વાઘે હવે આ વિસ્તારને પોતાનું ઘર બનાવી લીધું છે.
ચાર વર્ષના આ વાઘને માટે હવે જોડીદારની પણ તલાસ છે જે પણ ટુંક સમયમાં આ વિસ્તારમાં વસવાટ કરવા અને કુટુંબ વિસ્તારવા આવી જશે તે વચ્ચે આગામી વર્ષે દેશમાં વાઘની જે વસ્તી ગણતરી થનાર છે તેમાં ગુજરાતને પણ સતાવાર રીતે સામેલ કરાયુ છે. જેનાથી હવે ગુજરાતમાં વાઘની વસ્તી વધારવાના પ્રયાસોને સતાવાર રીતે અપનાવાશે.
ઓલ ઈન્ડીયા ટાઈગર એસ્ટીમેશન 2026 ને વાઘની વસ્તી ગણતરીનો એક સઘન કાર્યક્રમ છે. તેમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. તેમાં રતનમહાલ અભ્યારણને પણ સામેલ કરાયુ છે. મધ્યપ્રદેશ-ગુજરાતની સરહદ પર આવેલા એ વિસ્તારમાં વાઘના વસવાટ માટેની કુદરતી સુવિધા છે અને વાઘને અનુકુળ વાતાવરણ, વન્ય સૃષ્ટિ છે જેથી ભવિષ્યમાં અહી વધુ વાઘ વસી શકે છે.
જે વાઘના રક્ષણ માટે પણ ઉપયોગી બનશે. હવે ઓથોરિટીની ટીમ બહુ જલ્દી આ ક્ષેત્રની મુલાકાત લેશે અને તેઓ અહી વસતા વાઘની સતાવાર ગણતરી કરી તેની તસ્વીર વિ. પણ મેળવશે અને મોનીટર કરવા ખાસ સોફટવેર સીસ્ટમની તેના શરીર પરના ચટ્ટાપટ્ટાને રેકોર્ડ કરશે.
વાઘની વસ્તી ગણતરીમાં હવે આ પ્રકારની આધુનિક સીસ્ટમ અપનાવાય છે. ગુજરાતમાં 33 વર્ષ બાદ આ પ્રકારે રાજયમાં વાઘની સતાવાર ગણતરી થશે. આ બાદ ગુજરાત એ વાઘની વસ્તી ધરાવતા દેશના નકશામાં આવી જશે.
વસ્તી વધારા માટે માદા લાવવાની તૈયારી
રાજ્યમાં વાઘના પુનરાગમન સાથે હવે આગામી 2026ની વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો પણ વિધિવત સમાવેશ કરવામાં આવશે. રતનમહાલમાં સ્થાયી થયેલા વાઘના કારણે આ વિસ્તારમાં ઇકો-ટુરિઝમ અને સંરક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળશે. વાઘના કુદરતી વંશવેલાને આગળ વધારવા માટે વન વિભાગ દ્વારા હવે માદા વાઘની પણ માંગ કરવામાં આવી છે, જેથી ગુજરાતમાં વાઘનો પરિવાર વિસ્તરી શકે. સિંહ અને દીપડા બાદ હવે વાઘની હાજરીથી ગુજરાત વન્યજીવ વૈવિધ્યમાં દેશનું અગ્રણી રાજ્ય બની ગયું છે.


