શણગારમાં સાળંગપુરની શુભલક્ષ્મી પ્રથમ : કાઠીયાવાડી અશ્વની વિશેષતા દર્શાવતા પુસ્તકનું વિમોચન
વાંકાનેર ખાતે ત્રિદિવસીય 17માં ‘અશ્વ કામા રમતોત્સવ’ અને પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન અશ્વ શણગાર સ્પર્ધામાં નિર્ણાયકોએ સાળંગપુરની ‘શુભલક્ષ્મી’ નામની ઘોડીને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરી હતી.
આ પ્રદર્શનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાનમાંથી આશરે 250 જેટલા અશ્વોએ ભાગ લીધો છે. કુલ 300 જેટલી એન્ટ્રીઓ નોંધાઈ હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે ‘અશ્વ શણગાર સ્પર્ધા’ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં અશ્વપાલકોએ પોતાના અશ્વોને પરંપરાગત આભૂષણો અને વસ્ત્રોથી સજાવ્યા હતા.
પ્રથમ અશ્વ શણગાર સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા ઝીણવટભરી ચકાસણી બાદ સાળંગપુરના વિશ્વજીતસિંહ ખાચરની ‘શુભલક્ષ્મી’ નામની ઘોડીને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા અશ્વપાલકને ₹15,000 રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, કામા અશ્વ સોસાયટીના ચેરમેન ઘનશ્યામ આચાર્ય તથા વાઇસ ચેરમેન સત્યજિતસિંહ ખાચર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કાઠિયાવાડી અશ્વની વિશેષતાઓ દર્શાવતા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ અને ટુરિઝમ વિભાગના સંયુક્ત સહયોગથી યોજવામાં આવ્યો છે.
અશ્વ શોમાં કાઠીયાવાડી અશ્વમાં સ્થાન સંદીપ દાનાભાઈ હુંબલે મેળવ્યું હતું. સંદીપ દાનાભાઈ હુંબલને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંદીપભાઈ ના અશ્વનું નામ વાયુ છે જેવો કાઠીયાવાડી અશ્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં અશ્વ સ્પર્ધામાં નામના મેળવી છે.
વધુ એક બ્રિડીંગ ફાર્મ શરૂ કરાશે : વાઘાણી
બ્રિડિંગ ફાર્મ અને અશ્વ સંવર્ધન પર ભાર ઉદ્ઘાટન પ્રવચનમાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં વર્ષમાં એક જ વાર કામા રમતોત્સવ યોજાતો હતો, પરંતુ હવેથી વર્ષમાં ત્રણ વખત આવા શોનું આયોજન કરવામાં આવશે. કાઠિયાવાડી નસલના અશ્વોના સંવર્ધન માટે વધુ એક નવું બ્રિડિંગ ફાર્મ શરૂ કરવાની પણ તેમણે ખાતરી આપી હતી.


