વાઇબ્રન્ટ-ગુજરાત રીજયોનલ કોન્ફરન્સ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપશે
નવી પોલીસીમાં એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર માટે મહત્વની પુરવાર થશે
રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ-ગુજરાત-રીજયોનલ કોન્ફરન્સ ફકત સૌરાષ્ટ્ર જ નહી પુરા ગુજરાતના વિકાસમાં એક મહત્વનો ફાળો આપશે અને તેનાથી 2047ના વિકસીત ભારતના જે લક્ષ્યાંક છે. તેમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ પુરવાર થશે.
રાજકોટ વાઈબ્રન્ટ સમીટમાં રાજયની નવી એરોસ્પેસ તથા ડિફેન્સ પોલીસીની પણ જાહેરાત થનાર છે. અગાઉ 2016માં આ પોલીસી પ્રથમ વખત રચાઈ હતી જે તા.31 ડિસે. 2025ના પુરી થઈ છે પણ રાજય સરકારે હવે નવી પોલીસી જે આજના અને ભવિષ્યના આયોજન અને પડકારોને અનુરૂપ છે તે સંદર્ભમાં બનાવાશે અને તેની રાજકોટ સમીટમાં એક સંકલીત એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલીસી જાહેર થશે.
આ નવી પોલીસીમાં એરોસ્પેસ તથા ડિફેન્સ ક્ષેત્ર માટે મહત્વની પુરવાર થશે. જેમાં નાણાકીય પ્રોત્સાહનો સબસીડી, ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા મારફત ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કંપનીઓ તથા સાહસિકોને આકર્ષશે અને તેના લાભ સમગ્ર ઉદ્યોગને માટે મહત્વપૂર્ણ પુરવાર થશે અને તેમાં મહત્વપૂર્ણ ગુજરાતના એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને જોડાશે જેથી એરોસ્પેસ તથા ડિફેન્સ ઉત્પાદનમાં તેની ભાગીદારી વધશે.
આ નવી પોલીસી આ ઉપરાંત મોટા રોકાણકારોને પણ આકર્ષશે જેથી સર્વાંગી રીતે ગુજરાતમાં આ બન્ને ક્ષેત્રનો વિકાસ થશે. આ અંગે એક અગ્રણી કંપનીના ડિરેકટરના જણાવ્યા મુજબ દેશમાં આ ક્ષેત્રના ખ્યાલ અને નવી સંભાવનાને જોતા અનેક ભારતીય કંપનીઓ પણ વિદેશી ભાગીદારો સાથે આગળ આવવા આતુર છે પણ તેઓએ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની સપ્લાય લાઈનની જરૂર પડે છે.
જે સ્થાનિક ઉદ્યોગોને આગળ આવવા દેતી નથી. આ માટે એક કલસ્ટર જેવી સ્થિતિ જરૂરી છે. જયાં એક જ સ્થળથી જે પ્રકારની ઉત્પાદન સેવા સુવિધા જેને `ડીફેન્સ પેક’ કહી શકાય તે ઉપલબ્ધ થવી જરૂરી છે. કોઈ છુટાછવાયા એકમો ચાલે નહી જેને ગુજરાતની આ નવી પોલીસી તે બાજુ હશે તે અપેક્ષા છે.
વી.જી.આર.સી.-૨૦૨૬માં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ
એમ.એસ.એમ.ઈ. સહિત અનેક ધંધાઓને વેગ મળશે અને રોજગારી વધશેઃ ચેમ્બર પ્રમુખ
રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ-૨૦૨૬ (વી.જી.આર.સી.)ના આરંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કોન્ફરન્સના આયોજન અને તેમાં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે વી.જી.આર.સી.-૨૦૨૬ને રાજકોટ અને સૌરાષ્ટ્રની ઈકોનોમીને બૂસ્ટ કરનારો સુવર્ણ અવસર ગણાવ્યો છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ની શરૂઆત કરાવી હતી. આજે હવે પહેલીવાર રીજીયોનલ વાયબ્રન્ટ રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો માટે આ સુવર્ણ અવસર છે. તેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રની ઘણી પ્રોડક્ટ વિશ્વફલક પર પહોંચશે.
રાજકોટ-સૌરાષ્ટ્રના ઘણા ઉત્પાદકોની પ્રોડક્ટ વાયા-વાયા થઈને વિદેશ નિકાસ થતી હોય છે. અનેક ઉદ્યોગકારો જાતે નિકાસ નથી કરી શકતા. રીજીયોનલ વાઈબ્રન્ટમાં ફોરેન ડેલિગેટ્સ આવશે અને તેમના તરફથી સીધી પૂછપરછ અને મળનારા ઓર્ડરના લીધે, ઉદ્યોગકારો તેમને સીધી નિકાસ કરી શકશે. પરિણામે ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે અને દેશનું હુંડિયામણ પણ બચશે. આ સાથે અનેક ધંધાઓ અને રોજગારીનો વ્યાપ વધશે. આમ રાજકોટ-સૌરાષ્ટ્રને ઘણો ફાયદો થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
જ્યારે ચેમ્બરના માનદ સચિવ તથા ઉદ્યોગકાર નૌતમ બારસિયાએ જણાવ્યું હતું કે, વી.જી.આર.સી.-૨૦૨૬ માટે વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ છે. ચેમ્બરના ૨૦૦૦થી વધુ સભ્યોને વી.જી.આર.સી.માં રજિસ્ટ્રેશન માટેની લિન્ક આપવામાં આવી છે અને વેપારીઓ અને ઉદ્યોગકારો વી.જી.આર.સી.માં ભાગ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, આ વી.જી.આર.સી. બહારથી આવનારી મોટી કંપનીઓ-બાયર્સ અને રાજકોટના ઉદ્યોગકારો માટે સેતુ સમાન બની રહેશે. સર્વિસ ઈન્ડસ્ટ્રીઝને પણ તેનાથી મોટો ફાયદો થશે. આ કોન્ફરન્સથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવશે. વેપાર-ધંધા વધશે અને માર્કેટમાં નાણુ ફરતું થતાં બજારમાં તેજી આવશે તેવી આશા છે.
ભારત સહિત ૨૨ દેશોના આંતરરાષ્ટ્રીય કક્ષાના રજીસ્ટ્રેશન થયા
વાઇબ્રનટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાન, યુક્રેન, રિપબ્લીક ઓફ કોરીયા, રિપબ્લીક ઓફ રવાન્ડા જેવા દેશો છે. અત્યાર સુધીમાં ૬3૬૪ રજીસ્ટ્રેશન થઇ ચુકયા છે. જેમાં ભારત સહિત ૨ દેશોના આંતરરાષ્ટ્રીય કક્ષાના રજીસ્ટ્રેશન થયા છે. ૨૬૪૦૦ ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન યોજાશે. ૪૫૦૦ ચોરસ મીટરમાં પેવેલીયન બનાવવામાં આવ્યું છે.
23 દેશના ઉદ્યોગપતિઓ રાજકોટ આવશે
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ તા. ૧૧થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાશે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાને આવરી લેશે. મારવાડી યુનિવર્સિટી ખાતે ૧૧ જાન્યુઆરીએ બપોરે ૩.૩૦ કલાકે વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ તથા ટ્રેડ શોનો ઉદઘાટન સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં ૨3 દેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે. વીજીઆરસીની થીમ રીજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન રાખવામાં આવી છે. ૧૩ જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ જોડાયા છે. ભારત સહિત ૨૩ દેશોમાંથી રજીસ્ટ્રેશન મળ્યા છે. ટ્રેડ શો અને એક્ઝિબિશન તા. ૧૧-૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે.


