૨૬ જાન્યુઆરી એટલે કે ગુજરાતના ગોઝારા ભૂંકપની કારમી વરસી નજીક આવતા જ ધણધણતી ધરાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા
ધોરાજી-ઉપલેટા-જેતપુરમાં ભૂંકપનો ભયાવહ ખૌફ
ગઇકાલે મોડી સાંજથી આજે બપોર સુધીમાં ૧3 આંચકા, તીવ્રતા પાંચપીપળામાં ૮ અને લુણાગીરમાં પણ ૨ આંચકા
પાંચપીપળામાં ૮ અને લુણાગીરમાં પણ ૨ આંચકા : ગોંડલમાં પણ ધરા ધણધણી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં આવેલા ગોઝારા ભૂંકપની કારમી વરસી એટલે ૨૬ જાન્યુઆરી. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કોપાયમાન થયેલી ધરાએ ખેદાનમેદાન કરી નાખ્યુ હતુ. ખાસ કરીને કચ્છ પંથક આજે પણ આ દર્દનાક આફ્ટરશોમાંથી બહાર નીકળી શક્યુ નથી. ૨૬ જાન્યુઆરી નજીક આવી રહી છે એવા ટાંણે જ ધરા ફરી ધણધણવા લાગી છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ભયનો મહોલ સર્જાઇ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી ધરા ધણધણી રહી છે. એક-બે નહીં પણ વારંવાર ભૂંકપના આંચકા આવી રહ્યા છે. ગઇકાલે સાંજથી રાત સુધીમાં ૬ અને આજે સવારે પણ માત્ર 3 કલાકમાં ૭ વખત ભૂંકપના આંચકા આવ્ય હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટર ના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારે ૬:૧૯ વાગ્યે ૩.૮, ૬: ૫૬ વાગ્યે ૨.૯, ૬: ૫૮ વાગ્યે ૩.૨, ૭:૧૦ વાગ્યે ૨.૯, ૭: ૧૩ વાગ્યે ૨.૯, ૭:૩૩ વાગ્યે ૨.૭ અને ૮:૩૪ વાગ્યે ૩.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઇકાલે મોડી સાંજથી પણ છ આંચકા નોંધાયા છે. આ તમામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટા આસપાસ નોંધાયુ છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. એકબાજુ શિયાળાની ઠંડીને બીજી બાજુ વારંવાર ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો છે.
૨૬ વર્ષ પહેલાં ૨૬ જાન્યુઆરીના રોજ આવેલાં વિનાશક ભૂકંપને આજે પણ લોકો ભૂલી શકયા નથી. ત્યારે શિયાળાની ઋતુને અને ભૂકંપ વચ્ચે કોઈ કનેક્શન હોય તેમ ઠંડી વધતાં જ ભૂંકપના આંચકા શરૂ થઇ ગયા છે. ગઇકાલે મોડી સાંજ પછી શરૂ થયેલા આંચકાના ભયના ઓથાર હેઠળ લોકોએ રાત આખી વિતાવી. સવારે ફરી માત્ર ત્રણ કલાકમાં જ ધરતી ધણધણતા લોકોમાં ગભરાહટ વધી ગયો છે.
અમરેલી પંથકમાં પણ ધરા ધણધણી
ગિર ગ્રામ્ય વિસ્તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના વીસ્તારમાં ૧.૯ની તીવ્રતાના આંચકા
એપી સેન્ટરર અમરેલીથી ૪૧ કિલોમીટર દૂર હોવાનું ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયુ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગામડામાં આ કાલે સાંજે વાળું કરવાનાં સમયે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ઉપરાંત ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગ્રામ્ય વિસ્તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના ગામોમાં આજે સાંજના ૭:૧૬ મિનિટે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ અંગે સિસ્મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા પણ ભૂકંપના આંચકાની પુષ્ટી આપી હતી. આ ભૂકંપ અમરેલીથી ૪૧ કિલોમીટર દૂર હોવા અંગેની વિગતો ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે આપી હતી. આ અગાઉ પણ ખાંભા પંથકમાં ગીર કાંઠાના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકો આવતા હોય જેને લઈ ગાંધીનગરથી ખાસ ટીમ આ પંથકમાં દોડી આવી હતી. ત્યારે કાલે ફરી વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. દરમિયાન આ લખાય છે ત્યારે પાંચપીપળામાં ૮ અને લુણાગીરમાં પણ ૨ આંચકા નોંધાયા છે.
‘અગ્ર ગુજરાત’એ શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ સાથે કરી રૂબરૂ વાત
ધોરાજી તાલુકાની ૪૮, જેતપુર તાલુકાની ૭૦ સરકારી શાળામાં રજા
ખાનગી શાળાના સંચાલકોને પણ રજા રાખવા માટે શિક્ષણાધિકારીએ આપી મંજૂરી
ભૂંકપના આંચકા બંધ ન થાય ત્યા સુધી શાળાઓમાં રજા રાખવાની સતા સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આપવામા આવી
ધોરાજી, જેતપુર, ઉપલેટા પંથકમાં ભૂંકપના ભયાવહ માહોલ વચ્ચે નગરપાલિકા સંચાલિત તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામા આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ સાથે ‘અગ્ર ગુજરાત’એ કરેલી રૂબરૂ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, ભૂંકપના આંચકા સૌથી વધુ ધોરાજી અને જેતપુરમાં આવ્યા છે. ગોંડલ અને ઉપલેટામાં પણ અસર વર્તાઇ છે પણ આ બે સેન્ટરમાં વધુ અસર નથી. ખાસ કરીને ધોરાજી અને જેતપુરમાં ભયનો માહોલ છે. એ જોતા ત્યાની સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામા આવી છે. ધોરાજી તાલુકામાં ૪૮ અને જેતપુર તાલુમાની ૭૦ શાળાઓ આજે બંધ રાખવામા આવી હતી. બીજુ એ કે ત્યા સુધી સુચના આપવામા આવી છે કે, કુદરતી આફત ઓસરાય નહીં, ભૂંકપના આંચકા બંધ ન થાય ત્યા સુધી શાળાઓમાં રજા રાખવાની સતા સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આપવામા આવી છે. એટલુ જ નહીં ખાનગી શાળાના સંચાલકોને પણ પોતાની રીતે શાળામાં રજા રાખવા માટેની મંજૂરી આપવામા આવે છે.
જેતપુર મામલતદાર એ.ડી.બાખલકિયાનો અનુરોધ
94299 16996 કન્ટ્રોલ નંબર પર સંપર્ક કરવો
જેતપુરના મામલતદાર એ.ડી.બાખલકિયાએ ‘અગ્ર ગુજરાત’ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યુ હતુ કે, લોકોએ બિનજરૂરી ગભરાહત કે અફવાથી ડરવુ નહીં. આજે ટીડીઓ, ચીફ ઓફિસર અને શિક્ષણ વિભાગની મીટીંગ રાખી હતી. ખાસ ભૂંકપના માહોલને લઇને કન્ટ્રોલરૂમ ચાલુ કર્યો છે. જરૂર પડ્યે ફોન નં.૯૪૨૯૯ ૧૬૯૯૬ પર સંપર્ક કરવો. તમામ સરકારી શાળાઓમાં રજા આપવામા આવી છે. માત્ર શિક્ષકોને હાજર રહેવા જણાવાયુ છે.


