ગુજરાતમાં પ્રથમવાર મોટી સંખ્યામાં વાઘના ચામડા મળ્યાનો કિસ્સો
રાજપીપળા નજીક મંદિરના જૂના મકાનમાંથી ૪૦થી વધુ વાઘના ચામડા મળતા ચકચાર
૧33 નખ પણ મળ્યા : ચામડા અને નખ એફએસએલમાં મોકલાયા
અગ્ર ગુજરાત, રાજપીપળા
નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.
રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી.

વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના વાઘના 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ ચામડું 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ચામડાને સમાચાર પાત્રમાં વીંટાળેલા હતા, જે 1992 અને 1993ની સાલના પેપરો હતા. એટલે એ અંદાજ પરથી 35 વર્ષથી વધુ સમય પહેલાના ચામડા છે.
મંદિરના જૂના મકાનના જે રૂમમાંથી વાઘના ચામડા-નખ ભરેલી પેટી મળી આવી છે તે રૂમ મંદિરના પૂજારી મહારાજનો હતો, જે 3 મહિના પહેલા જ મૃત્યુ પામ્યા છે. મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા. બહારથી અન્ય સાધુઓની અવર-જવર પણ રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રી રોકાણ પણ કરતા હતા. હવે જે મળ્યું છે તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું જે તપાસનો વિષય છે.
અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરાઇ: RFO
RFO જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા છે.આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે. વન્ય પ્રાણીના આ ચામડા અને નખ મહારાજની જ રૂમમાંથી મળી આવ્યા છે. જો FSLની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. વનવિભાગે મંદિરના મૃત્યુ પામેલા મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતા તેની તપાસ ચાલુ કરી છે.


