સુસ્વાગતમ્….ત્રણ દિવસ ગુજરાતમાં વડાપ્રધાનનો વ્યાપક પ્રવાસ
આજે સાંજે સોમનાથમાં ઓમકાર જાપ અને ડ્રોન શો : કાલે શૌર્યયાત્રા અને રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન
14 ગ્રીનફિલ્ડ GIDC એસ્ટેટ અને મેડિકલ ડિવાઇસ પાર્કની મોટી જાહેરાત :જર્મન ચાન્સેલર સાથે મુલાકાત : મેટ્રો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના વ્યાપક પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ માત્ર ઔપચારિક મુલાકાત પૂરતો સીમિત ન રહી, પરંતુ તેમાં ભક્તિ, શૌર્ય, ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક સહયોગ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂત ઝલક જોવા મળશે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગુજરાતના સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે.
સોમનાથથી શરૂઆત : શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંદેશ વડાપ્રધાન મોદી આજે 10 જાન્યુઆરીના રોજ સાંજે 4.30 કલાકે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સીધા સોમનાથ મંદિર જશે. સાંજે લગભગ 8 વાગ્યે તેઓ ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, જે ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનું પ્રતિક છે. ત્યારબાદ સોમનાથ મંદિર પરિસરમાં યોજાનાર ભવ્ય ડ્રોન શોનું નિરીક્ષણ કરશે, જેમાં આધુનિક ટેક્નોલોજી અને સંસ્કૃતિનું અદભુત સંયોજન જોવા મળશે.
વડાપ્રધાનનું રાત્રિરોકાણ સોમનાથમાં રહેશે. સોમનાથ માત્ર ધાર્મિક સ્થાન નહીં પરંતુ ભારતના આત્મગૌરવનું પ્રતિક છે. વડાપ્રધાનનો અહીં રોકાણ કરવો એ દેશભરમાં સાંસ્કૃતિક એકતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપે છે.
11 જાન્યુઆરીના રોજ સવારે 9.45 વાગ્યે વડાપ્રધાન સોમનાથમાં આયોજિત ઐતિહાસિક શૌર્યયાત્રામાં ભાગ લેશે. આ યાત્રા સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા અણગણિત યોદ્ધાઓના સન્માનમાં યોજાય છે. યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રા હશે, જે શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે.
સવારે 10.15 વાગ્યે વડાપ્રધાન સોમનાથ મંદિરમાં દર્શન, પૂજા અને આરતી કરશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે સોમનાથ ખાતેના જાહેર કાર્યક્રમમાં હાજરી આપી જનતાને સંબોધન કરશે. આ સંબોધનમાં તેઓ સંસ્કૃતિ, રાષ્ટ્રગૌરવ અને વિકાસની દિશામાં સરકારના સંકલ્પ પર પ્રકાશ પાડે તેવી શક્યતા છે.
સોમનાથના કાર્યક્રમો બાદ બપોરે વડાપ્રધાન રાજકોટ પહોંચશે. અહીં તેઓ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભાગ લેશે. બપોરે લગભગ 1.30 વાગ્યે તેઓ પરિષદના ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. બપોરે 2 વાગ્યે વડાપ્રધાન રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે અને સભાને સંબોધિત કરશે. આ પરિષદ પશ્ચિમ ગુજરાતમાં રોકાણ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે નવી દિશા આપશે.
આ પ્રસંગે વડાપ્રધાન ગુજરાતના ઔદ્યોગિક ભવિષ્ય માટે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. તેઓ 14 ગ્રીનફિલ્ડ સ્માર્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એસ્ટેટના વિકાસની જાહેરાત કરશે. આ એસ્ટેટ્સથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને હજારો યુવાનોને રોજગારની તકો મળશે.
આ ઉપરાંત રાજકોટ ખાતે GIDCના મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન કરશે. આ પાર્કથી મેડિકલ ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે, આયાત પર આધાર ઘટશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને નવી ઊંચાઈ મળશે. વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ 11-12 જાન્યુઆરી, 2026 દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાં યોજાઈ રહી છે. આ પરિષદ ખાસ કરીને આ પ્રદેશોને સમર્પિત છે. પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નવી ગતિ લાવવાનો છે.
પરિષદના મુખ્ય ક્ષેત્રોમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, મત્સ્યઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા, ખનિજ સંસાધનો, ગ્રીન એનર્જી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે.
આ પરિષદમાં વૈશ્વિક સ્તરે પણ વિશેષ રસ જોવા મળશે. જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન આ પરિષદના ભાગીદાર દેશો રહેશે. આ દેશોની ભાગીદારીથી ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ટેક્નોલોજી સહયોગમાં લાભ મળશે.
રાજકોટ બાદ વડાપ્રધાન અમદાવાદ જશે. સાંજે લગભગ 5.15 વાગ્યે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે તેઓ સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે. આ મેટ્રો લાઇનથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.
જર્મન ચાન્સેલર સાથે મહત્વપૂર્ણ મુલાકાત 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન અમદાવાદમાં ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરશે. સવારે લગભગ 9.30 વાગ્યે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીના વિચારોને નમન કરશે. સવારે 10 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બંને નેતાઓ ભાગ લેશે. આ મહોત્સવ ગુજરાતની સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું પ્રતિક છે. આ પછી સવારે 11.15 વાગ્યેથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય ચર્ચા યોજાશે. અહીં ભારત અને જર્મની વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા થશે, જેને તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ થયા છે. આ ચર્ચાઓથી ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ ભક્તિ, શૌર્ય, વિકાસ અને વૈશ્વિક સહયોગનું અનોખું સંયોજન છે. સોમનાથમાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંદેશ, રાજકોટમાં ઔદ્યોગિક વિકાસનો મહાસંકલ્પ, અમદાવાદમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કૂટનીતિ, આ તમામ પાસાઓ ગુજરાતને વિકાસના નવા શિખરે લઈ જવાની દિશા દર્શાવે છે. આ પ્રવાસથી ગુજરાત માત્ર ભારતના વિકાસનું કેન્દ્ર નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે રોકાણ, સંસ્કૃતિ અને સહયોગનું મહત્વપૂર્ણ હબ બનીને ઉભરી આવશે.
1000 આહીરાણીઓના મહારાસથી વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ–2026 અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના સ્વાગત માટે સોમનાથમાં ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આહીર સમાજની 1000 મહિલાઓ મહારાસ કરી વડાપ્રધાનનું આત્મીય સ્વાગત કરશે.
આહીર સમાજની મહિલાઓ છેલ્લા ત્રણ દિવસથી આ વિશેષ પ્રસંગ માટે સતત પ્રેક્ટિસ કરી રહી છે. પરંપરાગત આહિરાણી વેશભૂષામાં સજ્જ મહિલાઓ ઢોલ–નગારા અને લોકસંગીતની તાલે મહારાસ રજૂ કરશે, જે સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક શોભા વધારશે. વડાપ્રધાનના સ્વાગતને લઈને આહીરાણીઓમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
આ આયોજન પાછળનું ઐતિહાસિક મહત્વ પણ વિશેષ છે. ઈ.સ. 1026માં મહમૂદ ગઝવી દ્વારા સોમનાથ પર કરાયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જ્યારે આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી થયેલા સોમનાથ મંદિરના જીર્ણોધારને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ બંને ઐતિહાસિક પ્રસંગોને સ્મરણમાં રાખી ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.
1000 આહીરાણીઓ દ્વારા થનારો મહારાસ આ ઐતિહાસિક સંજોગોને પ્રતિકાત્મક રીતે ઉજવશે. નોંધનીય છે કે આ આહીરાણીઓએ વર્ષ 2023માં બહોળી સંખ્યામાં મહારાસ કરી વિશ્વ વિક્રમ પણ સર્જ્યો હતો. નાની દીકરીથી લઈને વૃદ્ધ માતાઓ સુધી તમામ વયજૂથની મહિલાઓ આ આયોજનમાં જોડાઈ છે.
આહીર મહિલાઓએ જણાવ્યું કે, “દ્વારકામાં રાસ રજૂ કર્યા બાદ હવે સોમનાથમાં મહારાસ કરવાની તક મળવી અમારું સૌભાગ્ય છે. કૃષ્ણની ગોપી બની, હરી–હરનાં મિલનસ્થળે રાસ રમવાનો અમને પરમ આનંદ છે.”
આ ભવ્ય સ્વાગતથી સોમનાથ સ્વાભિમાન પર્વને ચાર ચાંદ લાગશે.
આજે રાત્રે અદભૂત ડ્રોન શો, કાલે સોમનાથના ઇતિહાસનો સૌથી મોટો રોડ-શો
108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદી જોડાશે સ્વાભિમાન યાત્રામાં : 3500 પોલીસ જવાનોની કડક સુરક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અને કાલે સોમનાથ ખાતે રોકાણ કરશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ–2026ને લઈને સમગ્ર તીર્થધામ ઉત્સવમય બની ગયું છે. આજે રાત્રે મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો યોજાશે, જ્યારે દરિયામાં માછીમારો દ્વારા 108 શણગારેલી બોટનો વિશેષ શો પણ રજૂ થશે.
સોમનાથના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આજે સાંજે મંદિર કોરિડોરના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ની સમીક્ષા કરશે. દિલ્હીની ત્રણ એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા કોરિડોરના મોડલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ થશે. સૂત્રો અનુસાર, આ આધુનિક અને વિશાળ કોરિડોર પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળવાની સંભાવના છે, જેને સોમનાથને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ માનવામાં આવે છે.
રવિવારે વહેલી સવારે મહાદેવના દર્શન, જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા બાદ સોમનાથના ઇતિહાસની સૌથી મોટી, અંદાજે બે કિ.મી. લાંબી ‘સ્વાભિમાન યાત્રા’ યોજાશે. શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી યોજાનારી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે અને તેમના મધ્યમાં વડાપ્રધાન મોદી શૌર્ય અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક બની જોડાશે. યાત્રાના અંતે વડાપ્રધાન વિશાળ જાહેરસભાને સંબોધન કરશે, જેમાં મહત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે.
વડાપ્રધાનના પ્રવાસને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. સમગ્ર સોમનાથ રંગબેરંગી લાઈટિંગ, ભિત્તિચિત્રો અને શણગારથી ઝગમગી ઉઠ્યો છે. આ પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ હજારો વર્ષના સ્વાભિમાન અને પુનર્જાગરણનું પ્રતીક બની રહ્યો છે. આ કાર્યક્રમોમાં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.


