જંગલેશ્વરવાસીઓને વધુ એક ફટકો, ૨૦૨ મુજબ નોટીસની તૈયારીઓ
બાકી રહેલા 3૯૦ આસામીઓની તા.૧૯મીએ સુનવણી : તંત્રની કડક કાર્યવાહી સામે સ્થાનિકોમાં કચવાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વરમાં છ દાયકાથી રહેતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસાહત ઉભી કરી દબાણ કર્યુ હોવાનો ઉલ્લેખ કરી ૧3૦૦ આસામીઓને નોટીસ ફટકાર્યા બાદ હિયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 3૯૦ આસામીઓ હાજર નહી રહેતા તેઓની તા.૧૯મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમજ તંત્ર દ્વારા ૨૦૨ મુજબ ફરીથી નોટીસ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્રની આ નીતિ સામે જંગલેશ્વરમાં રહેતા લોકોમાં કચવાટ સાથે રોષ ફેલાયો છે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલી 1.92 લાખ ચોરસ મીટર સરકારી જમીનમાં દબાણ ઊભા થઇ જવા પ્રકરણમાં ડિસેમ્બર માસથી જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ 1358 આસામીને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ 968 દબાણકારને સુનાવણી કરી લેવામાં આવી છે જેમાં બાકી રહેતા 390 દબાણકારને આગામી તા.19મીએ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે.
આ સુનાવણી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ દબાણકારોને જમીન મહેસૂલ કાયદાની કલમ 202 મુજબ દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું હતું.
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની જંગલેશ્વર મેઈન રોડ પર આવેલ 1.92 લાખ ચોરસ મીટર જમીન પર વર્ષોથી ખડકાઈ ગયેલ દબાણો દૂર કરવા રાજકોટ સિટી પૂર્વ મામલતદાર દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.
બીજી તરફ કેટલાક દબાણકારો હાઇકોર્ટમાં દોડી ગયા હોય બાકી રહેતા આસામીને માલિકીના પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીનમાં દબાણ કરનાર આસામીઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવશે કે કેમ તે અંગેના સવાલમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની જમીનમાં દબાણના કિસ્સામાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવતી હોય છે. સરકારી જગ્યામાં દબાણ પ્રશ્ને આવી કોઈ જોગવાઈ ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો સવાલ ન હોવાનું તેમને સ્પષ્ટ કર્યું હતું.


