‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન’ 26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું’
અમદાવાદની ૧૫ સ્કૂલોને ૨૬મીએ બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો મેઇલ મળતાં ખળભળાટ
અમદાવાદમાં અફડાતફડીનો માહોલ : વાલીઓ નોકરી ધંધા છોડી સ્કૂલે પહોંચ્યા : બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ, શાળાઓમાં ફાયર બ્રિગેડને પણ તૈનાત કરાઇ : તપાસમાં કોઇ વાંધાજનક વસ્તુ ના મળી
અગ્ર ગુજરાત, અમદાવાદ
‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ સ્કૂલે દોડી ગયા હતાં. પોલીસ, બોમ્બ સ્કવોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ધમકી મળતાં જ વાલીઓમાં ચિંતાની લાગણી જન્મી છે.
બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઇ પણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એક બાદ એક 15 સ્કૂલોમાં ધમકીભર્યો મેલ આવતા જ અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાહીબાગની આર્મી સ્કૂલથી લઈને સરખેજ સાણંદ રોડ સુધીની 15 સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો હતો.
એક તરફ વાલીઓ પોતાના બાળકોને લેવા અને જોવા માટે તલપાપડ હતા, ત્યાં બોપલની DPS સ્કૂલે વાલીઓને સંમતિ પત્રક ભરાવ્યા હતા. DPS બોપલનો ગેટ બંધ હતો અને સંમતિ પત્રકના ફોર્મ વહેંચાઈ રહ્યા હતા. વાલીઓ ફફડાટમાં ફોર્મ ભરી પોતાના બાળકને લેવા માટે ચિંતામાં જોવા મળ્યા હતા. ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને ધમકી મળતા જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. તેમજ આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા પણ હતી. જે અડધો કલાક પહેલા પૂર્ણ કરી દેવામાં આવી હતી.
સવારે 7:30થી 8 વાગ્યા વચ્ચે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા: DEO
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા DEO બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ડરવાની કોઈ જરૂર નથી. સત્રાંત પરીક્ષા પણ ચાલી રહી હતી જેથી વિદ્યાર્થીઓની સાવચેતી માટે પગલા લેવામાં આવ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે સાવચેતીના ભાગરૂપે સહયોગ આપે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને પગલા ભરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. ધમકીભર્યો મેલ મળતા જ તાત્કાલિક સુરક્ષા માટે કલેક્ટર અને પોલીસને જાણ કરી દેવામાં આવે છે. શાળાઓ દ્વારા તરત પગલા ભરવામાં આવે છે.
ધમકીભર્યા મેઈલ છતાં DPS સ્કૂલનું તંત્ર ઘોર નિંદ્રામાં, પોલીસને જ એન્ટ્રી ન આપી!
અમદાવાદની વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બોપલ સ્થિત ડી.પી.એસ. (DPS) સ્કૂલના સંચાલકોનું અત્યંત બેજવાબદાર વલણ સામે આવ્યું છે. ધમકીભર્યા મેઈલ મળ્યા હોવા છતાં શાળાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારેઆ પ્રકારની હઠધર્મિતાએ સેંકડો બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં અવરોધ શાળા સંચાલકો દ્વારા પોલીસને એન્ટ્રી ન આપવા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે.
આ સ્કૂલોને ઉડાવી દેવાની મળી ધમકી
ઘાટલોડીયાની કેલોરેક્ષ સ્કૂલ, બોપલની ડીપીએસ, વસ્ત્રાપુરની સ્વયમ સ્કૂલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાંચો, મીઠાખળીની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, એસપી રીંગ રોડની જીનીવા લિબરલ સ્કૂલ, શાહીબાગની આર્મી સ્કૂલ, નરોડાની જેડી હાઇસ્કૂલ, સેટેલાઇટની રેડ બ્રિકસ સ્કૂલ, ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ, શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય, સરખેજ સાણંદ રોડ પરની એપલ ગ્લોબલ અને પાલડીની દિવાન બલ્લુભાઇ સ્કૂલને ધમકી મળી હતી.


