સરકારી પગાર–ખાનગી હાથનું બેફામ રાજ
આરોગ્ય કેન્દ્રોમાં ‘ડુપ્લિકેટ સ્ટાફ’નો મહાખેલ!
નિમણૂક થયેલા કર્મચારી ગાયબ, ખાનગી માણસો દર્દીઓને દવા આપતા હોવાના ગંભીર આક્ષેપો : નિયમો માત્ર કાગળ પર, ભ્રષ્ટાચાર ખુલ્લા મેદાનમાં
એક્સપાયરી દવા, દર્દીઓના ખોટા આંકડાઓની ગોલમાલ અને હવે ખાનગી સ્ટાફની ખુલ્લેઆમ ફરજનો ભાંડાફોડ : તંત્ર જનતાને નહીં, કૌભાંડને બચાવી રહ્યું છે
અતુલ સુરાણી, વિનય પરમાર, અસીમ અધામ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં કાર્યરત મનપા હેઠળના આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય સેવા નહીં પરંતુ અંધાધૂંધ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું ચિત્ર એક પછી એક ખુલાસાઓથી સામે આવી રહ્યું છે. બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર તથા તેની હેઠળ આવતા પેટા આરોગ્ય કેન્દ્રોમાં ચાલી રહેલી ગોલમાલ અને અક્ષમ્ય બેદરકારી અંગે અગ્ર ગુજરાત દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓ બાદ પણ ઉચ્ચ અધિકારીઓ કે સતાધીશો ટસના મસ થતા નથી, જેના કારણે હવે સ્પષ્ટ રીતે “સબ ચલતા હૈ”ની માનસિકતા હાવી થઈ ગઈ હોવાનું અનુભવાઈ રહ્યું છે. આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતો આ વિભાગ આજે જનતાની સુરક્ષા કરતાં પોતાના કૌભાંડોને બચાવવા વધુ સક્રિય થયો હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે.
બજરંગવાડી આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી થયેલી દવાઓ અને ઇન્જેક્શનનો ખુલ્લેઆમ પડેલો જથ્થો, દર્દીઓના ખોટા આંકડા દર્શાવવા માટે ઓનલાઈન ઘાલમેલ, અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડને છતું કરનાર કોણ છે તેની શોધખોળ, આ બધું માત્ર બેદરકારી નહીં પરંતુ સુનિયોજિત ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ કૌભાંડ સામે કાર્યવાહી કરવાને બદલે આરોગ્ય વિભાગના અધિકારીઓ ખુલાસો કરનારની પાછળ લહણ ખાઈને પડ્યા હોય તેમ સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ જેમના હાથ કાયમી કાળા હોય તેમને પેટ્રોલથી ધોવા છતાં પણ કાળો ડાઘ જતો નથી, તેમ આ કૌભાંડીઓનો ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે.
મહાનગરપાલિકા હેઠળ આવતા આરોગ્ય કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરીએ જોડાતા પહેલા કર્મચારીઓ સાથે સ્પષ્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે કે તેઓ આરોગ્ય કેન્દ્ર સિવાય અન્ય કોઈ જગ્યાએ ફરજ બજાવી શકશે નહીં. છતાં અગ્ર ગુજરાતની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આરોગ્ય વિભાગના અધિકારીઓની રહેમરાહ હેઠળ મોટાભાગનો સ્ટાફ ખાનગી હોસ્પિટલોમાં પણ ખુલ્લેઆમ ફરજ બજાવી રહ્યો છે. આ બાબત અધિકારીઓને અજાણ હોવી શક્ય જ નથી, છતાં આંખ આડા કાન કરીને બધું ચાલવા દેવામાં આવી રહ્યું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ બધું કોઈના આશીર્વાદ વિના શક્ય નથી.
આનાથી પણ વધુ ચોંકાવનારી હકીકત એ છે કે, આરોગ્ય કેન્દ્રમાં જેમને સત્તાવાર રીતે નોકરી મળી છે અને જે કર્મચારી આરોગ્ય કેન્દ્રનો પગાર મેળવે છે, તે કર્મચારી ઘણીવાર આરોગ્ય કેન્દ્રમાં દેખાતો જ નથી. તેની જગ્યાએ અન્ય ખાનગી વ્યક્તિઓ ફરજ બજાવી રહ્યા છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આવા ખાનગી લોકો હાજરી પણ પૂરી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને સંપૂર્ણ જાણ છે કે, નિમણૂક થયેલો કર્મચારી ફરજ પર આવતો નથી અને તેની જગ્યાએ અન્ય લોકો કામ કરી રહ્યા છે, છતાં આ આખું કૌભાંડ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ રહેમરાહ કોના આશીર્વાદથી ચાલી રહી છે.? નિયમ પ્રમાણે આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવવા માટે સંપૂર્ણ નર્સિંગની તાલીમ અને કોર્સ કરેલો હોવો ફરજિયાત છે, પરંતુ અહીં તો નવા નિશાળિયા પણ નિર્ભયતાથી ફરજ બજાવી રહ્યા છે. સ્થાનિક લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અહીં તો રેઢારાજ ચાલી રહ્યા છે. વધુમાં, કેટલાક ડોક્ટરો પોતે જ આવા ખાનગી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે, કયા દર્દીને કઈ દવા આપવી અને કયા દર્દીને કઈ દવા ન આપવી. હદ તો ત્યારે થાય છે જ્યારે ડોક્ટર હાજર ન હોય ત્યારે પણ આ ખાનગી વ્યક્તિઓ દર્દીઓને પોતાની સમજ પ્રમાણે દવા આપી દે છે. આ સ્થિતિ માત્ર બેદરકારી નહીં પરંતુ જનતાના જીવ સાથે ખુલ્લેઆમ રમવાનું કામ છે.
મહાનગરપાલિકાના ઉચ્ચ આરોગ્ય અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે “એક્સપાયરી દવાનો જથ્થો તો પડ્યો જ હોય છે” તે જવાબ પરથી પોતે જ અનેક પ્રશ્નો ઉભા કરે છે. સાહેબ એક્સપાયરી દવા સરકારી સંપત્તિ છે અને જનતાના ટેક્સના પૈસાથી ખરીદાયેલી છે. તેની યોગ્ય દેખરેખ રાખવાની જવાબદારી પણ સરકારી અધિકારીઓની છે. જો એક્સપાયરી દવા હોય તો તેને સીલ કરી, ગણતરી કરીને અલગ રાખવી અને નિયમ મુજબ તેનો નિકાલ કરવો ફરજિયાત છે. ખુલ્લેઆમ પડેલી દવામાંથી ગોલમાલ ન થઈ શકે, તેવી કોઈ ખાતરી છે.? તે પ્રશ્ન આજે જનતા પુછી રહી છે.
આ સમગ્ર મામલામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં બેસાડાયેલા અધિકારીઓ માત્ર નામ પૂરતા અધિકારી બની ગયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જો તેઓ ખરેખર પ્રમાણિક અને નિષ્ઠાવાન હોત, તો આરોગ્ય કેન્દ્રોમાં આવી ગોલમાલ અને ભ્રષ્ટાચાર ક્યારેય થાત જ નહીં. એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ઉચ્ચ અધિકારીઓ બધું જાણે છે, છતાં હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. તો પછી પ્રશ્ન એ છે કે પગલાં લેવામાં કોની શરમ નડે છે.
આ સમગ્ર મામલે સૌથી શરમજનક બાબત એ છે કે, આરોગ્ય જેવો સંવેદનશીલ વિષય હોવા છતાં જવાબદારી નિશ્ચિત કરવાની જગ્યાએ અધિકારીઓ મૌન પાળી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રોમાં થતી ગડબડ કોઈ છુપેલી વાત રહી નથી, છતાં જાણે કે બધું જ સહનશીલ માની લેવામાં આવ્યું હોય તેમ વર્તન થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓ તો આ કૌભાંડને ગંભીરતાથી લેવાને બદલે તેને સામાન્ય ઘટના તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે જનતા સાથે ખુલ્લેઆમ છેતરપિંડી સમાન છે. જો આ જ વલણ ચાલુ રહેશે તો આરોગ્ય કેન્દ્રો જનતા માટે સેવા કેન્દ્ર નહીં પરંતુ જોખમ કેન્દ્ર બની જશે.
આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા નિયમિત રીતે ખાનગી હોસ્પિટલોમાં પણ નોકરી કરવી એ માત્ર એગ્રીમેન્ટનો ભંગ નથી, પરંતુ સરકારી સેવાનું ખુલ્લેઆમ અપમાન છે. સરકારી પગાર લઈને ખાનગી ફાયદો ઉઠાવવાનો આ ખેલ કોઈ એક-બે વ્યક્તિઓ સુધી સીમિત નથી, પરંતુ આખી સાંકળની રીતે ચાલી રહ્યો છે. ઉપરથી નીચે સુધી બધાને ખબર છે, છતાં કોઈ પગલું ભરાતું નથી. આ પરથી સ્પષ્ટ થાય છે કે, આ બધું એકલદોકલ નહીં પરંતુ સુવ્યવસ્થિત રીતે રચાયેલું ગોઠવણતંત્ર છે.
હાજરીમાં થતી ગડબડ તો આ કૌભાંડનો સૌથી કાળો ચહેરો છે. જે કર્મચારી ક્યારેય આરોગ્ય કેન્દ્રમાં દેખાતો જ નથી, તેની સંપૂર્ણ હાજરી ચઢાવવામાં આવે છે અને તે હાજરીના આધારે પગાર પણ ઉપાડવામાં આવે છે. આ પગાર કોની મહેરબાનીથી મળે છે? શું આ પગાર જનતાના ટેક્સના પૈસાથી નથી આવતો? જો હા, તો જનતાને છેતરવાનો આ અધિકાર આરોગ્ય વિભાગને કોણે આપ્યો? આ પ્રશ્નોના જવાબ કોઈ પાસે નથી, કારણ કે જવાબ આપવો પડે તો અનેક ચહેરા નંગા થવાની ભીતિ છે.
સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આરોગ્ય કેન્દ્રોમાં હવે વિશ્વાસ રહ્યો નથી. જે કેન્દ્રો ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશાનું કિરણ ગણાતા હતા, તે કેન્દ્રો હવે ભયનું કારણ બની રહ્યા છે. અજાણ્યા અને અપ્રશિક્ષિત લોકો દ્વારા આપવામાં આવતી દવાઓ દર્દીના જીવ માટે ખતરો બની શકે છે, છતાં આ ખતરાને અવગણવામાં આવી રહ્યો છે. શું કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવામાં આવી રહી છે? જો એવું છે તો તેની જવાબદારી કોણ લેશે?
એક્સપાયરી દવાઓનો મુદ્દો પણ એટલો જ ગંભીર છે. એક્સપાયરી દવા માત્ર બેકાર નથી હોતી, પરંતુ ઘણી વખત તે ગંભીર આડઅસર પણ કરી શકે છે. આરોગ્ય કેન્દ્રમાં આવી દવાઓ ખુલ્લેઆમ પડેલી હોવી એ બતાવે છે કે નિયમો માત્ર કાગળ પર જ છે. જો આજે આ દવાઓનો યોગ્ય રીતે નિકાલ નહીં થાય, તો કાલે તે દવાઓ કોઈ દર્દીના શરીરમાં જશે કે નહીં, તેની કોઈ ખાતરી નથી. આ સંભાવના જ આરોગ્ય તંત્રની નિષ્ફળતા દર્શાવવા પૂરતી છે.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવતાં નિવેદનો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે આકાશ-પાતાળનો ફરક જોવા મળી રહ્યો છે. કાગળ પર બધું ચોખ્ખું બતાવવામાં આવે છે, પરંતુ જમીન પર હકીકત કંઈક જુદી જ છે. આ અંતર જ ભ્રષ્ટાચારનું મૂળ છે. જો અધિકારીઓ ખરેખર નિષ્ઠાવાન હોત, તો મેદાન પર જઈ તપાસ કરત, સ્ટાફની હાજરી ચકાસતા, દવાઓનો સ્ટોક ચકાસતા અને જવાબદારી નક્કી કરતા. પરંતુ એવું કંઈ થતું નથી, કારણ કે તપાસ થશે તો અનેક અનિયમિતતાઓ બહાર આવશે.
આ સમગ્ર કાંડમાં સૌથી ખતરનાક વાત એ છે કે, આરોગ્ય વિભાગ જનતાની સુરક્ષા કરતાં પોતાની ખુરશી બચાવવામાં વધુ રસ ધરાવે છે. જે અધિકારીઓએ પગલાં લેવા જોઈએ, તે જ અધિકારીઓ મૌન રાખીને કૌભાંડને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ મૌન પોતે જ સૌથી મોટો ગુનો છે. કારણ કે મૌન એટલે સંમતિ, અને સંમતિ એટલે ભાગીદારી.
હવે પ્રશ્ન એ નથી કે ગડબડ થઈ છે કે નહીં, પ્રશ્ન એ છે કે હવે શું થશે. શું આ મામલામાં કોઈ ઉચ્ચ અધિકારી સામે કાર્યવાહી થશે? શું કોઈ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવશે? શું આરોગ્ય કેન્દ્રોની અચાનક તપાસ થશે? કે પછી આ મામલો પણ થોડા દિવસોમાં ઠંડો પડી જશે? જો આવું થશે, તો જનતાનો આરોગ્ય તંત્ર પરથી બચેલો વિશ્વાસ પણ સંપૂર્ણપણે તૂટી જશે.
આરોગ્ય વિભાગના વડાઓએ સમજવું પડશે કે આરોગ્ય સેવા કોઈ દયા નથી, પરંતુ જનતાનો હક છે. આ હક સાથે ચેડાં કરનારને બચાવવું એ પણ ગુનો છે. આજે જો તંત્ર ચૂપ રહેશે, તો કાલે જનતા ચૂપ નહીં રહે. કારણ કે જ્યારે આરોગ્ય પર પ્રહાર થાય છે, ત્યારે પ્રતિક્રિયા અનિવાર્ય બની જાય છે.
આ સમગ્ર મામલે હવે માત્ર નિવેદનો નહીં પરંતુ કડક કાર્યવાહી જરૂરી છે. તપાસ સમિતિઓ નહીં, પરંતુ દોષિતો સામે સીધી કાર્યવાહી થવી જોઈએ. હાજરીમાં ગડબડ કરનાર, ખાનગી હોસ્પિટલોમાં ગેરકાયદે નોકરી કરનાર, અપ્રશિક્ષિત લોકોને ફરજ પર રાખનાર અને આ બધું જાણીને મૌન રાખનાર, બધાની જવાબદારી નક્કી થવી જોઈએ. નહિતર આ કૌભાંડ માત્ર એક આરોગ્ય કેન્દ્ર સુધી સીમિત નહીં રહે, પરંતુ આખા શહેરના આરોગ્ય તંત્ર પર કાળો ડાઘ બની રહેશે.
હવે આખા શહેરની નજર સતાધીશો અને મ્યુનિસિપલ કમિશનર પર છે. જો તેઓ આ મામલે કડક પગલાં લેશે, તો જનતામાં વિશ્વાસ પાછો આવશે. પરંતુ જો ફરી એકવાર મૌન અને ઢાંકપિંડીનો રસ્તો અપનાવવામાં આવશે, તો લોકો એ માનવા મજબૂર થશે કે આરોગ્ય કેન્દ્રોમાં ચાલતો ભ્રષ્ટાચાર તંત્રની મૌન મંજૂરીથી જ ચાલી રહ્યો છે. અને ત્યારબાદ જવાબદારી માત્ર થોડા અધિકારીઓની નહીં, પરંતુ આખા તંત્રની ગણાશે.


