બંગાળની ખાડીના લો-પ્રેશરથી ગુજરાતમાં ઋતુઓની ગડબડ
એક તરફ માવઠું, બીજી તરફ આકરો તાપ : સાતથી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધતી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી હવામાનની અણધારી ચાલે સામાન્ય જનજીવન અને ખેતી બંનેને અસર કરી છે. એક સાથે ત્રણ હવામાનિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ઉનાળાની તીવ્ર ગરમી અનુભવાઈ રહી છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક માવઠાં વરસ્યા છે, જ્યારે બપોરના સમયે ગરમીનો પારો 34થી 37 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં આ પ્રકારનું વિસંગત હવામાન સતત જોવા મળી રહ્યું છે. સવાર અને રાત્રીના સમયે હળવી ઠંડક, બપોરે તીવ્ર ગરમી અને સાંજ પડતાં અચાનક વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા – આવી મિશ્ર ઋતુએ લોકોને પણ અચંબામાં મૂક્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી ઊભી થયેલી હવામાનિક અસર અને પશ્ચિમ દિશામાં પ્રવર્તતી હલચલને કારણે આ સ્થિતિ થોડા દિવસો સુધી યથાવત રહેવાની શક્યતા છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગઇકાલે સાંજ બાદ કમોસમી વરસાદના અહેવાલો મળ્યા હતા. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જેવા ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠાં વરસ્યાં હતા. ખાસ કરીને મોડાસા અને મેઘરજ પંથકમાં અચાનક વરસાદી ઝાપટાં પડતાં માર્ગો ભીના થયા હતા અને લોકોમાં અચાનક આવેલા હવામાન ફેરફાર અંગે ચર્ચા શરૂ થઈ હતી. અમરેલી જિલ્લાના બગસરા અને સાવરકુંડલા પંથકમાં સાંજના સમયે હળવા થી મધ્યમ વરસાદી છાંટાં પડ્યા હતા. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતો પહેલેથી જ ચિંતિત હતા, ત્યારે અચાનક આવેલા આ માવઠાંએ તેમની ચિંતા વધુ વધારી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગઇકાલે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર હેઠળ શહેરના મહુવા રોડ, મામલતદાર કચેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટાં પડ્યા હતા. દિવસ દરમિયાન ગરમી અનુભવાઈ રહી હતી, પરંતુ સાંજ પડતાં વાદળો છવાતા અને વરસાદી ઝાપટાં સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ વરસાદ નહીં પડતા ગરમી અને ભેજનું પ્રમાણ વધી રહ્યું હતું. ગઇકાલે પડેલા માવઠાંથી તાપમાનમાં થોડી રાહત મળી, પરંતુ ખેતીને લઈને ચિંતા યથાવત રહી છે. બગસરા પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. સાંજના સમયે અચાનક આવેલા વરસાદી ઝાપટાંને કારણે ઘઉં, ચણા, ધાણા, સોયાબીન સહિતના ઊભા પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખાસ કરીને સિજની પાક તૈયાર થવાની અવસ્થામાં હોવાથી માવઠાંથી દાણા કાળા પડી જવાની અને ઉપજમાં ઘટાડાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ આ પ્રકારનું હવામાન યથાવત રહેશે તો નુકસાનનો આંકડો વધુ વધી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાં અને વાદળછાયું વાતાવરણ રહેશે. વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી થોડા દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઊંચું રહી શકે છે અને તાપમાનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળશે. ખાસ કરીને ખેડૂતોને પાક કાપણી અને સંગ્રહ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ અનેક શહેરોમાં ઉનાળાની આગોતરી ગરમી અનુભવાઈ રહી છે. ગઇકાલે સુરતમાં 37.4 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 36.3 ડિગ્રી, ભુજમાં 36 ડિગ્રી અને અમરેલીમાં 35.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. પોરબંદર, કંડલા, ગાંધીનગર, ડાંગ અને દમણ જેવા વિસ્તારોમાં પણ 33થી 34 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. આ ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુનસાન દેખાયા હતા અને લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરતા જોવા મળ્યા હતા. જામનગર શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ભેજના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થતાં 70 ટકા સુધી ભેજ નોંધાયો હતો અને પવનની ગતિ પ્રતિ કલાક 3.5 કિમી જેટલી રહી હતી. સવાર અને રાત્રે ઠંડક, બપોરે ગરમી અને ભેજ, આ તમામ પરિબળોના કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
આજે સવારથી રાજ્યભરમાં ઠંડકનો અહેસાસ ઓછો રહ્યો છે. રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 17થી 22 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે આવી સ્થિતિ સર્જાતા આરોગ્ય નિષ્ણાતો પણ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે અચાનક હવામાન ફેરફારથી શરદી, તાવ અને એલર્જી જેવી સમસ્યાઓ વધી શકે છે.
આગામી દિવસો માટે ચેતવણી અને સાવચેતી
હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને છુટા-છવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને ખેડૂતોને પાકની સુરક્ષા માટે સમયસર પગલાં લેવા, અનાજ ખુલ્લામાં ન રાખવા અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની સલાહ આપવામાં આવી છે. એકંદરે, બંગાળની ખાડીના લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં હવામાનની અનિશ્ચિતતા યથાવત છે. ક્યાંક માવઠાંથી ઠંડક, તો ક્યાંક ઉનાળાની આગોતરી ગરમી, આવી સ્થિતિએ રાજ્યના લોકો અને ખેડૂતો બંને માટે સાવચેતી અને તૈયારી જરૂરી બની છે.
દેશના 12 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી
ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં દેશભરમાં હવામાન અસ્થિર બન્યું છે. દિવસ દરમિયાન ઉનાળાનો અહેસાસ અને રાત્રે ઠંડી વચ્ચે, હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા 12 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ માટે વાવાઝોડા અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી પરિભ્રમણના કારણે દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં તોફાની હવામાન સર્જાઈ શકે છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમ, આસામ, મેઘાલય અને તેલંગાણામાં 24 ફેબ્રુઆરીએ વીજળીના કડાકા સાથે વાવાઝોડા અને વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં 26 ફેબ્રુઆરી સુધી વરસાદ ચાલુ રહી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઝરમર વરસાદની શક્યતા છે, જ્યારે 26 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ અને ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક જિલ્લાઓમાં કરા સાથે તોફાની પવન ફૂંકાવાની આગાહી છે, જ્યાં પવનની ગતિ 41થી 61 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં હવામાન મોટાભાગે સ્વચ્છ રહેશે, સવારે હળવું ધુમ્મસ અને દિવસે તડકો રહેશે.


