સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત
૧૦૮૭.૫૨ કિલો લીલા, ૨૬.૦૬૦ કિલો સુકા ડોડા અને ૧૯,૧૪૦ કિલો ગાંજા સાથે બે શખ્સની ધરપકડ
અગ્ર ગુજરાત, ભાવનગર
સિહોર તાલુકામાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને કારોબાર સામે સિહોર પોલીસ દ્વારા ઐતિહાસિક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. “મરબી ઢોરાવાળી” તરીકે ઓળખાતી વાડીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યા વાડીમાં ગાંજો અને અફીણની ખેતી જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે અહિં 11 કરોડથી વધુના મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર સર અને સખાવદર ગામની સીમ પર કરકોલીયા રોડ નજીક આવેલી “મરબી ઢોરાવાળી” તરીકે ઓળખાતી વાડીમાં લાંબા સમયથી લીલા ગાંજા તથા અફીણનું મોટા પાયે ગેરકાયદેસર વાવેતર ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી સિહોર પોલીસને પ્રાપ્ત થઈ હતી. આ બાતમીની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા વિશેષ ટીમ તૈયાર કરી કાર્યવાહીનું સુચિત આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પોલીસ ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડી સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જ મોટા પાયે નશીલા પદાર્થોનું વાવેતર નજરે પડતા પોલીસ દળ ચોંકી ઉઠ્યું હતું. સીમમાં અફીણ તથા ગાંજાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
સ્થળ પરથી અંદાજે 1087.52 કિલો લીલો પોશ ડોડા અફીણ ( રૂ. 10,86,98,000), 26.060 કિલો સુકા પોશ ડોડા (રૂ. 3,90,900) તેમજ 19.140 કિલો લીલો ગાંજો ( રૂ. 1,91,400) મળી કુલ રૂ. 10 કરોડ 92 લાખ, 85 હજાર, 300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મુદ્દામાલનું વજન, ગણતરી, નમૂના લેવાની પ્રક્રિયા તથા પંચનામું સહિતની તમામ કાનૂની કાર્યવાહી મોડી રાત સુધી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ મામલે વાડીના માલિક બોઘા ચૌહાણ અને સંજય ઉર્ફે મનુ ઉર્ફે સંઘા ચૌહાણ એમ બે ભાઈઓને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(B), 8(C), 15(B), 18(B), 20(A), 20(2)(B) તથા 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓના ભૂતકાળના ગુનાહિત રેકોર્ડ તેમજ આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલ છે તેની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિહોર પોલીસ મથકના ઇતિહાસમાં આ સૌથી મોટી અને મહત્વપૂર્ણ રેડ માનવામાં આવી રહી છે. કરોડોની કિંમતના નશીલા પદાર્થોના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્તરે પોલીસની કડક અને સમયસર કાર્યવાહી માટે પ્રશંસા થઈ રહી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જાડેજાના સચોટ માર્ગદર્શન, આયોજનબદ્ધ કાર્યવાહી અને ટીમ વર્કના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું પોલીસ વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. નશાના કાળા કારોબાર સામે સિહોર પોલીસનું આ મોટું પગલું ગણાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આઈ.કે. ડોડીયા, પી.એસ.આઈ એન.કે. મકવાણા, એ.એસ.આઈ એચ.વી. ગોસ્વામી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


