ગેસ સિલિન્ડરની તંગી વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
હોટેલ-રેસ્ટોરાંને તાત્કાલિક PNG કનેક્શન
ઘરેલૂ LPG માટે હેલ્પલાઈન જાહેર કરાઈ :
વેસ્ટ એશિયા સંઘર્ષની અસર ગુજરાત સુધી; કોમર્શિયલ ગેસ અછતથી ખાણીપીણીના ધંધાઓ ઠપ, CMની ઉચ્ચસ્તરીય બેઠકમાં તાત્કાલિક પગલાં લેવા આદેશ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલું તેમજ ખાસ કરીને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજ્યના અનેક શહેરોમાં ગેસ એજન્સીઓ પર લાંબી લાઇનો જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ હોટેલ-રેસ્ટોરાં ચલાવતા વેપારીઓ માટે તો ગેસની અછત જીવનમરણનો પ્રશ્ન બની ગઈ છે. બજારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી અને જો મળે તો તે પણ કાળા બજારમાં ત્રણથી ચાર હજાર રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યા હોવાના આરોપો ઊઠ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પણ હવે સક્રિય બની છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગેસ પુરવઠા અને બળતણ સંબંધિત પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગેસ પુરવઠાની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને રાજ્યમાં ગેસની તંગીનો સામનો કરવા માટે તાત્કાલિક તેમજ લાંબા ગાળાના પગલાં લેવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં ખાસ કરીને હોટેલ, રેસ્ટોરાં, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક પાઇપલાઇન નેચરલ ગેસ (PNG) કનેક્શન આપવા નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી કે જ્યાં માંગણી હોય ત્યાં ઝડપથી PNG કનેક્શન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જેથી ગેસ પુરવઠાની સમસ્યા કારણે કોઈપણ સંસ્થા કે વ્યવસાય પર અસર ન થાય.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઘરેલું PNG ગેસ વાપરતા ગ્રાહકો માટે હાલમાં કોઈ તંગી નથી અને ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. છતાં પણ LPG સિલિન્ડર પુરવઠામાં વિક્ષેપને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ અને અન્ન-નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અને આગામી સમયમાં પુરવઠો સુનિશ્ચિત કરવા માટેની વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના અનેક શહેરોમાં ગેસની અછતનો સીધો અસર ખાણીપીણીના ધંધા પર પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં હોટેલ-રેસ્ટોરાં ચલાવતા વેપારીઓ માટે ગેસ સિલિન્ડર મેળવવું મુશ્કેલ બની ગયું છે. કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડર ન મળતા તેમને ધંધો બંધ કરવાની ફરજ પડી રહી છે.
ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી તે કારણે નાના-મોટા ઢાબા, હોટેલ અને રેસ્ટોરાંમાં મુશ્કેલી વધી ગઈ છે. કેટલાક વેપારીઓએ ગેસના અભાવે કોલસાના ચૂલાનો સહારો લીધો છે, જ્યારે સુરતમાં તો કેટલાક ખાણીપીણીના ધંધાર્થીઓએ લાકડાના મોટા ચૂલા સળગાવીને ખોરાક બનાવવાની શરૂઆત કરી દીધી છે.
પરંતુ કોલસા અથવા લાકડાના ચૂલા પર ખોરાક બનાવવામાં ખૂબ વધુ સમય લાગતો હોવાથી ગ્રાહકોને સેવા આપવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે ઘણા સ્થળોએ ધંધો લગભગ અડધો થઈ ગયો છે. વેપારીઓનું કહેવું છે કે ગેસ સિલિન્ડર ન મળવાથી ખર્ચ વધ્યો છે અને સમય પણ વધુ લાગી રહ્યો છે. આ સ્થિતિનું એક જીવંત ઉદાહરણ અમદાવાદના મણીનગર વિસ્તારમાં જોવા મળ્યું છે. અહીં આવેલ સ્વામિનારાયણ મંદિરના ભોજનાલયને પણ ગેસની અછતને કારણે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે ગેસનો પૂરતો પુરવઠો ન મળતા ભોજન તૈયાર કરવું મુશ્કેલ બની ગયું છે.
બીજી તરફ ગેસ એજન્સીઓ પર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક ગ્રાહકો વહેલી સવારથી જ એજન્સીઓની બહાર લાઇનમાં ઊભા રહી રહ્યા છે જેથી તેમને ગેસ સિલિન્ડર મળી શકે. કેટલાક સ્થળોએ તો લોકો વચ્ચે બોલાચાલી અને તણાવની સ્થિતિ પણ સર્જાઈ રહી છે.
ગેસ પુરવઠામાં આ તંગીનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે ગેસ સપ્લાય ચેઇન પર અસર પડી છે. પરિણામે ભારતમાં પણ એલપીજી સિલિન્ડરના પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે. ઘણા ગેસ એજન્ટોનું કહેવું છે કે ગેસ સિલિન્ડર લઈને આવતી ટ્રકો સમયસર આવી રહી નથી. જેના કારણે બુકિંગ પ્રક્રિયા અટકી રહી છે અને ડિલિવરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને કોમર્શિયલ સિલિન્ડરો પર આ અસર વધુ જોવા મળી રહી છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે કેટલાક તાત્કાલિક પગલાં પણ લીધા છે. ઘરેલૂ ઉપયોગ માટે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે ઔદ્યોગિક ગેસ પુરવઠામાં 50 ટકા સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગ થતો ગેસનો એક ભાગ હવે ઘરેલૂ ઉપયોગ માટે ફાળવવામાં આવ્યો છે.
તે ઉપરાંત પેનિક બુકિંગને રોકવા માટે ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચેનો ગેપ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે કેટલાક લોકો ભયના કારણે એક સાથે અનેક સિલિન્ડર બુક કરવાની કોશિશ કરી રહ્યા છે, જેના કારણે પણ અછત સર્જાઈ રહી છે.
આ પરિસ્થિતિમાં લોકો હવે વૈકલ્પિક વિકલ્પો તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ઇન્ડક્શન સ્ટવ અને ઇલેક્ટ્રિક કુકટોપની માંગ અચાનક વધી ગઈ છે. શહેરોમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ દુકાનોમાં ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે.
ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઇન્ડક્શન સ્ટવની વેચાણમાં અચાનક વધારો નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડક્શન સગડીઓની માંગ બે થી ત્રણ ગણો વધી ગઈ છે. જો કે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગે હાલ કોઈ મોટી સમસ્યા જોવા મળી નથી. રાજ્યભરના પેટ્રોલ પંપ પર સામાન્ય રીતે જ પુરવઠો ચાલી રહ્યો છે અને ક્યાંય મોટી હાડમારી કે લાંબી લાઇન જોવા મળી નથી. જોકે કેટલાક સ્થળોએ અફવાઓના કારણે થોડો સમય માટે રશ જોવા મળ્યો હતો. સરકાર અને તેલ કંપનીઓ હાલ પરિસ્થિતિને નજીકથી મોનીટર કરી રહી છે અને વધુ ઉત્પાદન તથા વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા ગેસ પુરવઠો સામાન્ય બનાવવા પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યના નાગરિકોને ગેસ પુરવઠા અંગે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે.
સરકાર દ્વારા ઘરેલૂ LPG સંબંધિત સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ ગ્રાહકને ગેસ સિલિન્ડર બુકિંગ અથવા ડિલિવરી અંગે સમસ્યા હોય તો તે 1800-233-0222 નંબર પર સંપર્ક કરી શકે છે. રાજ્ય સરકારનો દાવો છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં ગેસ પુરવઠો સામાન્ય થઈ જશે. છતાં હાલની સ્થિતિને કારણે લોકો અને વેપારીઓ બંનેમાં ચિંતા અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
હોટેલ-રેસ્ટોરાં માટે PNG વિકલ્પ
ગેસ સિલિન્ડરની અછત વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હોટેલ, રેસ્ટોરાં, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક PNG કનેક્શન આપવામાં આવશે. જ્યાં પાઇપલાઇન ગેસ ઉપલબ્ધ છે ત્યાં ઝડપથી કનેક્શન આપીને કોમર્શિયલ સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે અરજી મળતાની સાથે પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવે જેથી ખાણીપીણીના ધંધાર્થીઓને રાહત મળી શકે.
કાળા બજારમાં 3-4 હજાર સુધી ગેસ
રાજ્યના કેટલાક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો ગેરફાયદો ઉઠાવી કાળા બજારમાં વેચાણ થવાની ફરિયાદો સામે આવી રહી છે. સામાન્ય રીતે લગભગ 1700 થી 2000 રૂપિયા વચ્ચે મળતો સિલિન્ડર કેટલાક સ્થળોએ 3 થી 4 હજાર રૂપિયા સુધી વેચાઈ રહ્યો હોવાના વેપારીઓના આક્ષેપ છે. વેપારીઓએ સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ગેરકાયદે વેચાણ રોકી શકાય.
ઇન્ડક્શન સ્ટવની માંગમાં અચાનક ઉછાળો
ગેસ સિલિન્ડરની તંગીને કારણે લોકો હવે ઇન્ડક્શન સ્ટવ અને ઇલેક્ટ્રિક કુકટોપ તરફ વળી રહ્યા છે. શહેરોની ઇલેક્ટ્રોનિક્સ દુકાનોમાં ઇન્ડક્શન સગડીઓની માંગ અચાનક વધી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે છેલ્લા થોડા દિવસોમાં ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને નવા ઓર્ડર આપવા પડી રહ્યા છે.
પેનિક બુકિંગ રોકવા 25 દિવસનો ગેપ
સરકારે ગેસ સિલિન્ડરની પેનિક બુકિંગને અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું લીધું છે. હવે એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર બુક કરવા માટે ઓછામાં ઓછા 25 દિવસનો ગેપ રાખવો પડશે. સરકારનું માનવું છે કે ભયના કારણે લોકો વધુ સિલિન્ડર બુક કરી રહ્યા હતા, જેના કારણે પુરવઠા પર વધારાનો દબાણ સર્જાઈ રહ્યો હતો.
LPG સંબંધિત સમસ્યાઓ માટે હેલ્પલાઈન
રાજ્ય સરકારે LPG ગ્રાહકોની સમસ્યાઓ ઉકેલવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જો કોઈ ગ્રાહકને ગેસ સિલિન્ડર બુકિંગ, ડિલિવરી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તે 1800-233-0222 નંબર પર સંપર્ક કરી શકે છે. સરકારનું કહેવું છે કે આ હેલ્પલાઈન દ્વારા ગ્રાહકોને માર્ગદર્શન અને જરૂરી મદદ આપવામાં આવશે.


