આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ વિવિધ જિલ્લા/તાલુકાની મહિલા સમિતિ દ્વારા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
મા ખોડલની આરાધનાનો પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ. આધ્યાત્મિકતાથી ભરપૂર એવા પાવન પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ આવતીકાલ તારીખ 19 માર્ચ ને ગુરુવારથી થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રિમાં ભાવિકો દ્વારા માતાજીની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ચૈત્રી નવરાત્રિમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભાવિકો માતાજીની ઉપાસના કરતા હોય છે. ચૈત્રી સુદ એકમથી લઈને નોમ સુધી માતાજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજારોહણ, અન્નકૂટ, યજ્ઞ, રાસ-ગરબા, માતાજીને ચુંદડી અર્પણ અને ધુન-કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ શ્રી ખોડલધામ મંદિર ખાતે યોજાશે.
તારીખ 19 માર્ચ ને ગુરુવારથી 27 માર્ચ ને શુક્રવાર સુધી શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રથમ નોરતે જામનગર, બીજા નોરતે ધોરાજી, ત્રીજા નોરતે પોરબંદર, ચોથા નોરતે અમરેલી, પાંચમાં નોરતે ગોંડલ, છઠ્ઠા નોરતે જૂનાગઢ, સાતમાં નોરતે ઉપલેટા, આઠમા નોરતે રાજકોટ શહેર અને નવમા નોરતે જામકંડોરણા મહિલા સમિતિની બહેનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજીને મા ખોડલની આરાધના કરવામાં આવશે.


