વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
ધ્રોલના શકિત ભાલિયાને સંશોધન વિભાગ અને દક્ષાબેન વઘાસીયાને જોડિયામાં મૂકાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે વહીવટી સુધારણા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 18 માર્ચ, 2026ના રોજ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી રાજ્યભરના 35 પરિક્ષેત્ર વન અધિકારીઓ (RFO – રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-2)ની સામુહિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અપેક્ષિત આ નિર્ણયને વહીવટી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
વિભાગના ઉપ સચિવ હિમાંશુ ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, આ બદલીઓ રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ તથા વર્કિંગ પ્લાન સર્કલ વચ્ચે કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વહીવટમાં ગતિ લાવવી અને ક્ષેત્રિય સ્તરે કાર્યક્ષમતા વધારવી છે.
આદેશ મુજબ, તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની હાલની ફરજમાંથી મુક્ત થઈને નવી નિમણૂંકના સ્થળે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોનું માનવું છે કે હાલ આ બદલીઓ ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, પરંતુ આવનારા સમયમાં અન્ય RFO અધિકારીઓ માટે પણ ટ્રાન્સફરનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.
બદલીઓની યાદીમાં કેટલીક મહત્ત્વપૂર્ણ હલચલ જોવા મળી છે. જીવરાજભાઈ દેસાઈને ભુજ મોનિટરિંગ રેન્જમાંથી નળ સરોવર ખાતે ખસેડાયા છે, જ્યારે નિખિલ નિમ્બાર્કને સાસણ ગીરથી ગાંધીનગર ઉર્જા રેન્જમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષાબેન વઘાશીયાને ખીજડિયા પરથી જોડિયા રેન્જમાં મોકલાયા છે. આ ઉપરાંત, શક્તિભાઈ ભાલિયાને ધ્રોલથી સંશોધન વિભાગ, આણંદપુરામાં અને હીરેનકુમાર પટેલને વાંકલથી વલસાડ વર્કિંગ પ્લાન રેન્જમાં બદલી આપવામાં આવી છે.


