વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
પીડિતોને સીધી રજૂઆતનો મોકો, બેન્કો અને કાયદેસર લોન એજન્સીઓ પણ રહેશે હાજર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વધતા વ્યાજખોરીના કેસોને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા આજે ખાસ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો પોતાની ફરિયાદો સીધી પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે, આ પ્રકારની ખુલ્લી બેઠક દ્વારા પીડિતોને ન્યાય અપાવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં મદદ મળશે.
આ જનસંપર્ક સભા આજે સાંજે 4:30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનાર છે, જેમાં શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની અધ્યક્ષતા રહેશે. સાથે જ ડીસીપી ક્રાઈમ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શહેરના તમામ પોલીસ સ્ટેશનના પ્રતિનિધિઓ હાજર રહેશે. બેઠક દરમિયાન લોકો પાસેથી વ્યાજખોરી સંબંધિત અરજીઓ અને ફરિયાદો સીધી સ્વીકારવામાં આવશે અને તેમના ઝડપી નિકાલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસ દ્વારા માત્ર ફરિયાદો સાંભળવાની જ નહીં પરંતુ પીડિતોને વિકલ્પરૂપે કાયદેસર લોન ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ માટે નેશનલાઈઝ્ડ બેન્કો, કો-ઓપરેટિવ સોસાયટીઓ અને અન્ય કાયદેસર નાણાંકીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેથી જરૂરિયાતમંદ લોકોને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે અને તેઓ વ્યાજખોરોના ચક્રમાં ફરીથી ફસાઈ ન જાય.
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી એક ગંભીર સામાજિક સમસ્યા બની રહી છે અને અનેક લોકો તેના કારણે આર્થિક તેમજ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. આવા સમયમાં પોલીસની જવાબદારી છે કે પીડિતોને મદદરૂપ બને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરે. તેમણે શહેરના નાગરિકોને અપીલ કરી હતી કે, જો તેઓ અથવા તેમના ઓળખીતાઓ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની રહ્યા હોય તો નિર્ભયપણે આગળ આવી પોલીસનો સંપર્ક કરે.
આ જનસંપર્ક સભા અંગે વધુમાં વધુ લોકોને માહિતી પહોંચે તે માટે પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા મારફત જાહેર જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં લોકોને સભામાં હાજર રહી પોતાની રજૂઆત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રચાર અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસની આ પહેલને કારણે પીડિતોને એક મજબૂત પ્લેટફોર્મ મળશે, જ્યાં તેઓ નિર્ભયપણે પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે. સાથે જ વ્યાજખોરો સામે કાયદેસર કાર્યવાહીનો માર્ગ પણ સરળ બનશે. પોલીસનો વિશ્વાસ છે કે, આ પ્રકારના પ્રયાસો દ્વારા શહેરમાં વ્યાજખોરીના દુષ્પ્રભાવને ઘટાડી શકાય અને લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવવામાં સફળતા મળશે.


