સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
તા.૧ એપ્રિલથી રાજયભરમાં નવા નિયમોની થશે અમલવારી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) દ્વારા વર્ષ 2026-27 માટેના નવા ટેરિફ ઓર્ડરની જાહેરાત કરવામાં આવી છે. આ નવા ફેરફારોમાં ખાસ કરીને સ્માર્ટ મીટરનો ઉપયોગ કરનારા ગ્રાહકો અને દિવસ દરમિયાન વધુ વીજળી વાપરનારા ઉદ્યોગો તેમજ રહેણાંક ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નવા નિયમો આગામી 1 એપ્રિલ, 2026 થી સમગ્ર ગુજરાતમાં અમલી બનશે.
સરકાર દ્વારા સ્માર્ટ મીટરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રિબેટમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સ્માર્ટ મીટર ધારકોને જે 2% રિબેટ મળતું હતું, તેને વધારીને હવે 3% કરી દેવામાં આવ્યું છે. આ ફેરફારથી મધ્યમ વર્ગના પરિવારોના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
નવા ટેરિફ મુજબ, ‘ટાઈમ ઓફ યુઝ’ (TOU) ડિસ્કાઉન્ટના કલાકોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ ડિસ્કાઉન્ટ માત્ર 4 કલાક માટે મળતું હતું, જે હવે વધારીને 6 કલાક કરવામાં આવ્યું છે. ખાસ કરીને બપોરે 11 થી સાંજે 5 વાગ્યા સુધી વીજ વપરાશ કરનારા ગ્રાહકોને વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ નિર્ણય પાછળનો હેતુ સોલર એનર્જીના ઉત્પાદન સમય દરમિયાન વીજ વપરાશ વધારવાનો છે.
પર્યાવરણને અનુકૂળ વીજળીનો ઉપયોગ વધારવા માટે ‘ગ્રીન પાવર ટેરિફ’ દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ આ દર રૂ. 0.90 પ્રતિ યુનિટ હતો, જે હવે ઘટાડીને રૂ. 0.75 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે. જીઈઆરસીના આ ગ્રાહકલક્ષી નિર્ણયોથી રાજ્યના કરોડો વીજ ગ્રાહકોને આર્થિક ફાયદો થશે. જોકે, ફિક્સ ચાર્જ અને અન્ય સ્લેબમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, જે રાહતની વાત છે.


