શૃધ્ધિકરણ અભિગમથી દિગ્ગજનેતાઓમાં ચિંતા ફફડાટ
ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
૬૦ વર્ષથી મોટી વયના અને સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડનાર નેતાઓને પણ આરામ આપવા નિર્ણય
ગુજરાત પ્રદેશની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં ઉમેદવાર પસંદગી માટેના કડક માપદંડો નકકી કરાયા
નવા ચહેરાને તક આપવાના અભિગમથી ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની ચર્ચા
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ચૂંટણીની જાહેરાત બાદ ઘણા ઉમેદવારો ભાજપ તરફથી ચૂંટણી લડવા માટે સેન્સ પ્રક્રિયામાં ઉમટી પડયા હતા. તેમાં જૂના જોગીઓ પણ દાવેદારો નોંધાવી હતી. પરંતુ કેટલાક નેતાઓની સેવાની ભાવના પર પાણી ફરી વળ્યું છે. વોર્ડ-જિલ્લા પ્રમુખો, ૬૦ વર્ષથી વધુ વયના અને ત્રણ ટર્મ ચૂંટણી લડનારની ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજકોટ સહિત રાજયભરમાં દિગ્ગજ ગણાતા નેતાઓને ઘરે બેસવાનો વારો આવશે તેવી ચર્ચા થઇ રહી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે, જેમાં ચૂંટણીની વ્યૂહરચના સાથે ઉમેદવાર પસંદગી માટે કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પક્ષે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવા ચહેરાઓને આગળ લાવવા માટે આ વખતે ‘નો રિપીટ’ જેવો આકરો અભિગમ અપનાવ્યો છે.
બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણય મુજબ, હવે સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી નહીં મળે. વોર્ડ પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉમેદવારી કરી શકશે નહીં, જેથી તેઓ સંપૂર્ણ રીતે સંગઠનને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સાથે જ, ભાજપે વયમર્યાદા નક્કી કરતા 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને પણ આ વખતે આરામ આપવામાં આવશે.
ભાજપના નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે, ટિકિટ વિતરણમાં વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાયાના કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપવાનો પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન આગામી દિવસોમાં લોકસંપર્ક અભિયાનને તેજ બનાવવા અને પેજ સમિતિઓને વધુ સક્રિય કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના આ ‘શુદ્ધિકરણ’ અભિગમથી પક્ષના અનેક દિગ્ગજ નેતાઓમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે, જેના કારણે ટિકિટ માટેની દોડ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું કે, એકસાથે આટલી મોટી ચૂંટણી યોજાશે તે રાજ્ય માટે ઐતિહાસિક ગૌરવ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે લાંબી ચૂંટણી પ્રક્રિયામાં નાના-મોટા વિક્ષેપ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ટૂંકા ગાળામાં જ જનતાને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે, જે લોકશાહી માટે સકારાત્મક છે. વાઘાણીએ જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં જનતાએ વધુમાં વધુ મતદાન કરીને વિકાસની દિશામાં કાર્ય કરનાર પ્રતિનિધિઓને પસંદ કરવા જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના વિકાસના એજન્ડાને લોકો ફરી એકવાર સમર્થન આપશે.
ભાજપના સ્થાપના દિવસને લઈને પણ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ વર્ષના 365 દિવસ કાર્ય કરતી પાર્ટી છે, જ્યારે અન્ય પક્ષો માત્ર ચૂંટણી સમયે સક્રિય થાય છે. ભાજપ સતત લોકો સાથે સંપર્કમાં રહે છે અને ઘર-ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે રહે છે. તેમણે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને તેઓ છેલ્લી ઘડીએ કોઈને પણ ઊભા રાખે છે. અંતમાં વાઘાણીએ દાવો કર્યો કે આવનારી ચૂંટણીમાં ભાજપને જનતા ફરી એકવાર આશીર્વાદ આપશે અને ‘કમળ ખીલશે, વિકાસ જીતશે’.
ભાજપ લોકશાહી પધ્ધતિથી કામ કરે છે : વાઘાણી
પ્રક્રિયા અંગે વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ લોકશાહી પદ્ધતિથી કામ કરે છે અને નિરીક્ષકો દ્વારા લોકોનો મત જાણી લેવામાં આવી રહ્યો છે. લોકોને વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ છે. ભાજપમાં ઉમેદવારની પસંદગી થયા બાદ પાર્ટી સંપૂર્ણ રીતે ઉમેદવાર સાથે ઉભી રહે છે, જ્યારે કોંગ્રેસમાં ટિકિટ આપ્યા પછી ઉમેદવારોને એકલા છોડી દેવામાં આવે છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને આપ પાસે યોગ્ય ઉમેદવારો નથી અને તેઓ માત્ર હાર માટે ઉમેદવારો ઊભા રાખે છે.


