રાજકોટ પોલીસની ખુમારી અને લોકપ્રશ્નો પર થઈ ખુલ્લી ચર્ચા
“અગ્ર ગુજરાત”ના આંગણે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા
અગ્ર ગુજરાતના ડિરેક્ટર, એડિટર અને સ્ટાફ સાથે કરી શુભેચ્છા મુલાકાત ; કાર્યપદ્ધતિનું નિરીક્ષણ કરી કામગીરીને બિરદાવી
પોલીસ-પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર ; રાજકોટ પોલીસની સક્રિય કામગીરી અંગે વ્યક્ત કર્યા વિચારો
“રંગીલું રાજકોટ”ની ઓળખ જાળવવા પોલીસ તંત્ર સતત સતર્ક હોવાનું ડીસીપી બાંગરવાએ જણાવ્યું
લોકપ્રશ્નોને વાચા આપતી પત્રકારિતાની પ્રશંસા ; અગ્ર ગુજરાતની કામગીરીથી પ્રભાવિત થયા ડીસીપી ક્રાઇમ
વધતી ગુનાખોરી સામે રાજકોટ પોલીસનો કડક અભિગમ ; ગુનેગારોને ડામવા સતત કાર્યવાહી ચાલુ હોવાનું નિવેદન
અગ્ર ગુજરાતના સ્ટાફની કામગીરીને વધાવી ડીસીપી બાંગરવાએ પાઠવી શુભેચ્છાઓ ; જવાબદાર પત્રકારિતાને સમાજ માટે જરૂરી ગણાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર પોલીસ તંત્રના ડીસીપી ક્રાઇમ તરીકે ફરજ બજાવતા જગદીશ બાંગરવા આજે અગ્ર ગુજરાત સાંધ્ય દૈનિકના કાર્યાલયે ખાસ મહેમાન તરીકે પધાર્યા હતા. તેમની આ મુલાકાત માત્ર ઔપચારિક નહોતી, પરંતુ પોલીસ અને મીડિયા વચ્ચેના સંવાદ, સહકાર અને લોકહિતના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉજાગર કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ બની રહી હતી. અગ્ર ગુજરાતના ડિરેક્ટર જેનીશભાઈ અજમેરા અને જીતુભાઈ વસોયા સાથે તેમણે શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ સમગ્ર કાર્યાલયની કામગીરીને નજીકથી જાણી હતી.
ડીસીપી જગદીશ બાંગરવાએ અગ્ર ગુજરાતના ડિરેક્ટર જેનીશભાઈ અજમેરા, એડિટર અતુલભાઈ સુરાણી અને સિનિયર રિપોર્ટર અસિમભાઈ અઘામ સાથે ખુલ્લા મનથી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ખાસ કરીને રાજકોટ શહેરમાં વધી રહેલી ગુનાખોરી, પોલીસની કામગીરી, જનતાની અપેક્ષાઓ અને મીડિયાની જવાબદારી જેવા વિષયો પર તેમણે નિખાલસપણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે અગ્ર ગુજરાત કાર્યાલયની કાર્ય પદ્ધતિનું પણ નિરીક્ષણ કર્યું હતું. સમાચાર એકત્રિત કરવાની પ્રક્રિયા, જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની રીત, તટસ્થતા અને ઝડપથી માહિતી લોકો સુધી પહોંચાડવાની કામગીરી અંગે તેમણે રસપૂર્વક માહિતી મેળવી હતી. કાર્યાલયના સ્ટાફ સાથે પણ તેમણે હળવા અંદાજમાં વાતચીત કરી અને તેમની કામગીરીને બિરદાવી હતી. સ્ટાફની મહેનત અને લોકપ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયાસોની તેમણે ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.
ચર્ચા દરમિયાન ડીસીપી બાંગરવાએ ખાસ કરીને પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસના સંબંધ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં માત્ર પોલીસનો જ નહીં, પરંતુ સામાન્ય પ્રજાનો પણ એટલો જ મહત્વનો ફાળો હોય છે. જો લોકો પોલીસ પર વિશ્વાસ મૂકે અને યોગ્ય સમયે માહિતી આપે, તો અનેક ગુનાઓ બનતા પહેલાં જ અટકાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચે સકારાત્મક સેતુ બંધાય તે સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
રાજકોટ શહેર વિશે વાત કરતાં તેમણે ગર્વ સાથે કહ્યું હતું કે, “રાજકોટને રંગીલું રાજકોટ તરીકે ઓળખવામાં આવે છે અને ખરેખર અહીંની પ્રજા દિલથી રંગીલી છે. લોકોમાં પ્રેમ, લાગણી અને સહકારની ભાવના આજે પણ જીવંત છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શહેરની આ ઓળખ જાળવી રાખવી દરેક નાગરિકની જવાબદારી છે અને તેમાં પોલીસ તંત્ર સતત સક્રિય છે. તેમણે શહેરમાં વધી રહેલી ગુનાખોરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ ગુનેગારો સામે કડક વલણ અપનાવી રહી છે. ક્રાઇમ બ્રાંચ અને શહેર પોલીસની વિવિધ ટીમો સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે. ગુનેગારોને કાયદાનો ડર રહે અને સામાન્ય નાગરિક નિર્ભય જીવન જીવી શકે તે માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે.
ડીસીપી બાંગરવાએ રાજકોટ પોલીસ તંત્રના જવાનોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અનેક વખત પોલીસ જવાનો પોતાના પરિવારથી દૂર રહીને લોકોની સુરક્ષા માટે ફરજ બજાવે છે. તહેવારો હોય કે મધરાત્રી, શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર હંમેશા ખડેપગે રહે છે. આ કામગીરી પાછળ પોલીસ જવાનોની ખુમારી, શિસ્ત અને પ્રતિબદ્ધતા કાર્યરત છે.
અગ્ર ગુજરાત જેવી લોકપ્રિય સાંધ્ય દૈનિકની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું હતું કે, મીડિયા લોકશાહીની ચોથી જાગીર છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય અત્યંત મહત્વપૂર્ણ છે. સમાજમાં બનતી ઘટનાઓને નિષ્પક્ષ રીતે રજૂ કરીને જનજાગૃતિ લાવવાનું કાર્ય મીડિયા સતત કરી રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક પ્રશ્નો અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવી એ પ્રશંસનીય બાબત છે.
મુલાકાતના અંતે ડીસીપી જગદીશ બાંગરવાએ અગ્ર ગુજરાત પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગ્ર ગુજરાત જે રીતે લોકપ્રશ્નોને વાચા આપી રહ્યું છે અને જવાબદાર પત્રકારિતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, તે સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમણે ભવિષ્યમાં પણ પોલીસ અને મીડિયા વચ્ચે આવો જ સકારાત્મક સંવાદ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ મુલાકાતે માત્ર એક ઔપચારિક મુલાકાતનું સ્વરૂપ જ ધારણ કર્યું નહોતું, પરંતુ પોલીસ અને મીડિયા વચ્ચેના વિશ્વાસ, સહકાર અને લોકહિત માટેની સંયુક્ત જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજકોટ જેવા ઝડપથી વિકસતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સક્રિયતા અને મીડિયા દ્વારા લોકોના પ્રશ્નોને અવાજ આપવાની ભૂમિકા બંને સમાન રીતે મહત્વપૂર્ણ બની રહી છે.
રાજકોટની પ્રજા રંગીલી, પણ ગુસ્સો ઓછો રાખો : ડીસીપી બાંગરવાની અપીલ
રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ ભાંગરવાએ શહેરની પ્રજાને શાંતિ અને સમજદારી જાળવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટની પ્રજા દિલથી રંગીલી અને મિલનસાર છે, પરંતુ અમુક લોકો સામાન્ય બાબતોમાં પણ ઝડપથી ગુસ્સે થઈ ઝઘડામાં ઉતરી પડે છે. નાની બાબતોમાં થતા વિવાદો ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી જાનહાની સુધી પહોંચતા હોય છે. તેમણે લોકોને ધીરજ અને શાંતિથી કામ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે ઝઘડા અને મારામારીથી દૂર રહી કાયદાકીય આટીઘુટીમાં ન ફસાવું જોઈએ અને શહેરની શાંતિ જાળવવામાં દરેક નાગરિકે સહકાર આપવો જોઈએ.
ગુજસીટોકના સકંજાથી ગુનેગારોમાં ફફડાટ : શહેરની શાંતિ ડહોળનારાને છોડવામાં નહીં આવે
રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસે ગુનાખોરી રોકવા કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ અનેક ગેંગોને જેલ ભેગી કરવામાં આવી છે, જેના કારણે ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તેમણે કહ્યું હતું કે પોલીસના કડક વલણ અને સતત કાર્યવાહીથી શહેરમાં ગુનાખોરી ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે. આગામી સમયમાં પણ શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે તેવું પણ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.
ટ્રાફિક સિગ્નલ હવે AI આધારિત બનશે : ટ્રાફિક સમસ્યા ઘટાડવા નવો પ્રોજેક્ટ તૈયાર
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા AI આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે અનેક પ્રયાસો છતાં ટ્રાફિક સમસ્યા સંપૂર્ણ કાબૂમાં આવી રહી નથી, જેના પાછળ ટ્રાફિક પ્રત્યે લોકોમાં જાગૃતતાનો અભાવ મુખ્ય કારણ છે. નવા AI સિસ્ટમ હેઠળ જે દિશામાં ટ્રાફિક વધુ હશે ત્યાં વધુ સમય સુધી સિગ્નલ ખુલ્લું રહેશે, જ્યારે ઓછી અવરજવરવાળા માર્ગ પર સિગ્નલ ઓટોમેટીક રીતે ઝડપથી બંધ થઈ જશે. હાલ શહેરમાં AI આધારિત નવા ટ્રાફિક સિગ્નલ ફિટ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પોલીસ જવાનોની ખુમારીને ડીસીપીએ બિરદાવી
ડીસીપી જગદીશ બાંગરવાએ રાજકોટ પોલીસના જવાનોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, પોલીસ જવાનો દિવસ-રાત પોતાની ફરજ નિભાવી શહેરની સુરક્ષા માટે સતત તત્પર રહે છે. તહેવારો, રજાના દિવસો કે મધરાત્રી દરમિયાન પણ પોલીસ જવાનો ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થા જાળવે છે. અનેક વખત પરિવારથી દૂર રહીને તેઓ લોકોની સુરક્ષા માટે કાર્ય કરે છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે તે પાછળ પોલીસની મહેનત અને શિસ્ત મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું હતું કે રાજકોટ પોલીસનો દરેક જવાન ફરજ પ્રત્યે સમર્પિત છે અને લોકોની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહે છે.
પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધારવાની જરૂર
ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે માત્ર પોલીસ પૂરતી નથી, પરંતુ પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો સમયસર માહિતી આપે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પોલીસને જાણ કરે તો અનેક ગુનાઓ અટકાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત બનશે તો ગુનેગારો સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી થઈ શકશે. રાજકોટની પ્રજા સમજદાર અને સહકાર આપનારી છે, જેના કારણે પોલીસને કામગીરીમાં સરળતા રહે છે. પોલીસ હંમેશા લોકોની સુરક્ષા અને વિશ્વાસ માટે પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજકોટ પોલીસનો ઝીરો ટોલરન્સ અભિગમ
રાજકોટ શહેરમાં વધતી ગુનાખોરી સામે હવે પોલીસ તંત્ર ઝીરો ટોલરન્સ ની નીતિ સાથે કાર્ય કરી રહ્યું છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને છોડવામાં નહીં આવે. ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો સતત મોનીટરીંગ કરી રહી છે. ખાસ કરીને ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહીથી ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયો છે. પોલીસનું લક્ષ્ય માત્ર ગુનો નોંધવાનો નહીં, પરંતુ ગુનો બનતા પહેલાં જ અટકાવવાનો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ અને ગુપ્ત દેખરેખ પણ વધારવામાં આવી છે.
અગ્ર ગુજરાત પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત અને ફોટો સેશન
રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ અગ્ર ગુજરાત કાર્યાલયની મુલાકાત દરમિયાન એડિટર અતુલભાઈ સુરાણી, સિનિયર રિપોર્ટર અસીમભાઈ અઘામ, વિનયભાઈ પરમાર સહિત સમગ્ર સ્ટાફ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે કોમ્પ્યુટર સ્ટાફ જયદીપભાઈ મકવાણા, યુસુફભાઈ અઘામ તેમજ સોશિયલ મીડિયા સ્ટાફ મીત ભટ્ટી, પલ પાનસરા, પ્રશાંતભાઈ પરમાર, આકાશભાઈ રત્નોતર, કાનાભાઈ ટોયટા, સુરેશભાઈ અને નીશુભાઈ કાચાની કામગીરીને બિરદાવી હતી. લોકપ્રશ્નોને વાચા આપવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવી પ્રોત્સાહન આપ્યું હતું. મુલાકાત દરમિયાન ડીસીપી બાંગરવાએ સ્ટાફ સાથે હળવા અંદાજમાં ચર્ચા કરી ફોટો સેશન પણ કર્યું હતું.


