અમદાવાદમાં કોન્સ્ટેબલ પતિ સાથે ઝઘડો અને ત્રાસ આપતા પત્નીની આત્મહત્યા
આપઘાતની દુષ્પ્રેરણાની પોલીસ જાવન સામે શાળાએ ફરિયાદ નોંધાવી : ઘરકંકાસે માળો વિખ્યો
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝુડ કરતો હતો. તેમજ પતિએ પુત્રની બિમારીનો રિપોર્ટ સારો ન આવતા પત્નીને ઊંઘની ગોળીઓ આપી સૂવડાવી પણ દીધી હતી. 14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો પણ વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબેનના લગ્ન વર્ષ 2013માં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. 15 એપ્રિલના રોજ અર્જુનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઊંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે. જોકે, ગીતાબેનના ભાઈએ વીડિયો કોલ કરતા બહેન અર્ધબેભાન અવસ્થામાં જણાતા તેઓ તાત્કાલિક બહેનના ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન મૃતક મહિલાના જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લાશની વીડિયોગ્રાફિ સાથે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસકર્મી અર્જૂનસિંહના ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા-કાકીનો ઝઘડો થયાની મૃતકના ભાઈને જાણ કરી હતી. મૃતકના ઘરમાં તપાસ કરતા એક ચીઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે, ભાઈને બોલા થા બચ્ચો કે સામને દેખ લે… અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મેં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.
ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાને અગાઉ પણ પતિ સાથે અનેક વાર ઝઘડા થયા હોવાથી બે ત્રણ વખત પિયર રિસામણે ગઈ હતી. 14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો પણ વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતક મહિલાના ભાઈએ અર્જુનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે મળીશું. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય જરૂર મળશે.


