મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાશે
આયોજન અંગે મેયર ડૉ.નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં અધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થા, યોગ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “વિશ્વ યોગ દિવસ”ની શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ તેમજ લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ (ફક્ત મહિલાઓ માટે) ખાતે સવારે ૦૬:૦૦ કલાકે ઉજવણી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર રજીસ્ટ્રેશન કરી શકશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકો સ્થળ ઉપર રાખવામાં આવનાર QR Code સ્કેન કરી ડિજિટલ સર્ટિફિકેટ મેળવી શકશે.
આ આયોજન અનુસંધાને મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કોર્પોરેટરઓ અનિલભાઈ ચૌહાણ અને મહેશભાઈ પીપળીયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુકની ઉપસ્થિતિમાં અધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થા, યોગ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
યોગાસનો નિયમિત કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તે માંસપેશીઓને મજબૂત બનાવે છે, લવચિકતા વધારે છે અને શરીરનું સંતુલન સુધારે છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. યોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, આર્થરાઈટિસ જેવી અનેક બીમારીઓને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે.
ટૂંકમાં, યોગ એ એક એવી પ્રથા છે જે વ્યક્તિના શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને સુધારીને એક સંતુલિત અને સુખી જીવન જીવવામાં મદદ કરે છે.
આગામી ૨૧–મી જૂન,૨૦૨૬ “વિશ્વ યોગ દિવસ” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત યોગ બોર્ડના સહયોગ સાથે આયોજિત કાર્યક્રમમાં જોડાવા નગરજનોને રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.


