મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી
3291 ચો.મી. સરકારી જમીનને 4 JCB અને 10 ટ્રેક્ટર સાથે તંત્રએ મેગા ડીમોલેશન ઓપરેશનમાં દબાણમુક્ત થઈ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળમાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ સામે તંત્રએ કડક વલણ અપનાવી બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્રેના તાલાલા રોડ નજીક કુદરતી પાણીના વહેણને અવરોધતા અને સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દુર કરવા માટે મામલતદાર કચેરીના માર્ગદર્શન હેઠળ મેગા ડીમોલેશન ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં અંદાજે પાંચ કરોડની કુલ 3291 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વેરાવળ મામલતદાર આર. વી.પરસાણીયાના જણાવ્યા મુજબ, રમેશ સોલંકી નામના ખેડૂતે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અત્રેની સરકારી જમીન પરના દબાણ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે કુદરતી પાણીના વહેણના માર્ગ પર દબાણ થવાને કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી રહ્યો હતો. જેના પરિણામે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતું અને ખેડૂતોને પાક નુકસાનનો સામનો કરવો પડતો હતો. આ ફરિયાદને ગંભીરતાથી લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ઇમરાન મહમદ ખાસાબ નામના વ્યક્તિ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા તેને દૂર કરવાની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વેરાવળના મામલતદાર આર.વી. પરસાણીયાની રાહબરી હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ચાર જેસીબી મશીનો,દસ ટ્રેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જોડાયેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી કાર્યવાહીમાં દબાણરૂપ બાંધકામો અને અન્ય અવરોધો દૂર કરીને સરકારી જમીનને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષોથી કુદરતી પાણીના વહેણ પર થયેલા અવરોધને કારણે વરસાદી મોસમ દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ રહેતું હતું. જેના કારણે પાકને નુકસાન થતું અને ખેતી ખર્ચમાં વધારો થતો હતો. હવે દબાણ દૂર થતાં પાણીનો પ્રવાહ ફરીથી ખુલ્લો બનશે અને ખેતીને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ સરકારી જમીન, માર્ગો, તળાવો અને કુદરતી પાણીના વહેણ પર થયેલા દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લામાં સરકારી જમીનોને દબાણમુક્ત બનાવવા અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે તંત્રની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ બની છે. મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવેલી એક ફરિયાદના આધારે થયેલી આ ઝડપી કાર્યવાહીથી સામાન્ય નાગરિકોની રજૂઆતોને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવે છે તેવો સ્પષ્ટ સંદેશ પણ ગયો છે.


