અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર
ખાંભાના વિસ્તારમાં કુંવાઓ ખાલી થતા ખેતીના પાક પર ખતરો ઉભો થયો
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના લાઠી, ખાંભા વિસ્તારમાં એક દિવસમાં ૧૦-૧૨ આંચકા આવતા હોવાથી તેની સીધી અસર ભુગર્ભ જળ પર પડી છે અને કુવાના પાણી ડુકી ગયા છે. જેથી ખેતરમાં પાણી પૂરતા પ્રમાણમાં નહીં પહોંચતા ખેતીના વિવિધ પાકો પર ખતરો ઉભો થયો છે.
અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં છેલ્લા બે માસથી ધરતી ધ્રૂજી રહી છે, પરંતુ આ ભૂકંપ માત્ર ભય જ નથી લાવ્યો, પણ ખેડૂતો માટે પાયમાલીની આફત પણ લઈને આવ્યો છે. ખાંભા શહેર સહિત ભાડ, વાંકિયા, જીકયાળી, ઇંગોરાળા અને નાનુડી જેવા ગામોમાં સતત આવતા 3.6ની તીવ્રતાના આંચકાઓને કારણે જમીની હલનચલન થતા કૂવાના પાણીના સ્ત્રોત અચાનક સુકાઈ ગયા છે.
ખેડૂતોએ ઉનાળુ પાક તરીકે બાજરી, તલ, જુવાર અને ડુંગળીનું વાવેતર કર્યું હતું. પાક હવે તૈયાર થવાના આરે છે અને છેલ્લા બે-ત્રણ પાણની જ જરૂર છે, બરાબર એ જ સમયે કૂવાઓ ખાલીખમ થઈ ગયા છે. ભૂકંપના કારણે જમીનમાં તિરાડો પડવાથી કે સ્તર બદલાવાથી પાણીના તળ ઊંડા જતા રહ્યા હોવાનું મનાય છે. નાનુડી ગામના ખેડૂત રતિભાઈ વોરા જણાવે છે કે, જે કૂવામાં 8 કલાક પાણી ચાલતું હતું, તે હવે સાવ સુકાઈ ગયું છે, પરિણામે તેમની 5 વીઘાની બાજરી નજર સામે સુકાઈ રહી છે.
બાજરી અને ડુંગળી જેવા પાકો તૈયાર હોવા છતાં છેલ્લા સમયે પાણી ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને કરેલી મહેનત અને મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભૂકંપના ડર વચ્ચે હવે આર્થિક પાયમાલીના ભયથી ગીરનો ખેડૂત ફફડી રહ્યો છે. તંત્ર દ્વારા આ મામલે સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.


