ગુજરાત કેન્સરના ભરડામાં, દૈનિક નવા ૨૦૦ કેસ
૨૦૨૫માં રાજયમાં ૭૨,૭૫૯ દર્દીઓ નોંધાયા : ૪૨ ટકા કેસ તમાકુના વ્યસનથી : શ્વાસ નળી, ફેફસા, શ્વરપેટી અને અન્નનળીના કેન્સર મુખ્ય : મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર સૌથી વધુ
અગ્ર ગુજરાત, અમદાવાદ
હૃદયરોગ પછી કેન્સર આજે માનવજાત માટે સૌથી મોટો અને જીવલેણ પડકાર બનીને ઉભરી આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ‘ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન કેન્સર’ અનુસાર, આ બીમારી દુનિયામાં મોતનું બીજું સૌથી મોટી કારણ છે. રિપોર્ટમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં કેન્સરના વાર્ષિક કેસ વધીને 3.5 કરોડ થઈ જશે.
હાલમાં વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨.૦૬ કરોડ નવા કેસ નોંધાય છે, જેમાંથી 1 કરોડ લોકો જીવ ગુમાવે છે-એટલે કે દરરોજ ૨૭ હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ કેન્સરની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.
ICMR ના અંદાજ મુજબ, વર્ષ 2025માં દેશમાં કેન્સરના 15.77 લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં ગુજરાતનો હિસ્સો 72,759 દર્દીઓનો હતો. એક આંકડા મુજબ, ભારતમાં સરેરાશ દર 9 માંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાની શક્યતા રહેલી છે.
ગુજરાતમાં નોંધાતા કુલ કેસમાંથી સૌથી વધુ 42 ટકા કેસ તમાકુના સેવન સંબંધિત છે. તમાકુના કારણે મોંનું કેન્સર, શ્વાસ નળી, ફેફસાં, શ્વરપેટી અને અન્નનળીના કેન્સર મુખ્ય છે. પુરુષોમાં મોંઢા અને શ્વાસ નળીના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે. મહિલાઓમાં બ્રેસ્ટ (સ્તન) અને સર્વાઈકલ (ગર્ભાશયના મુખનું) કેન્સર ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત કેન્સર હોસ્પિટલ (GCRI) ના આંકડા જ આ સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. વર્ષ 2025માં માત્ર મોં અને ગળાના કેન્સરના જ 5,909 કેસ નોંધાયા હતા, એટલે કે રોજ 16 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. પાંચ વર્ષમાં (2021-2025) આવા 28,352 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મોં, સ્તન અને સર્વાઈકલ કેન્સર માટે મોટા પાયે સ્ક્રિનિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કેન્સરથી બચવા માટેનો એક જ અમોઘ મંત્ર છે વ્યસનમુક્ત જીવન અને પ્રકૃતિ આધારિત આહારશૈલી.
અમદાવાદ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ- જીસીઆરઆઈમાં મોં અને ગળાના કેન્સરના વર્ષ 2025માં 5909 જેટલા કેસ નોંધાયા છે એટલે કે દરરોજ ૧૬ જેટલા દર્દીને સારવાર અપાઈ હતી. વર્ષ 2021થી 2025 એમ પાંચ વર્ષના સમય ગાળામાં 28,352 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના કેસમાં સતત વધારો નોંધાયો છે.
કેન્સરના કેસમાં દર વર્ષે ધીમી પણ મક્કમ ગતિએ વધારો
- વર્ષ 2021: 65,609 કેસ
- વર્ષ 2024: 71,873 કેસ
- વર્ષ 2025: 72,759 કેસ (દરરોજના અંદાજે 200 નવા કેસ)
- 5 વર્ષનો કુલ આંકડો (2021-2025): 3,47,53થી વધુ કેસ
માતાના દૂધમાં પણ જંતુનાશકોની હાજરી!
આજે કેન્સર માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં, પરંતુ નાના બાળકોને પણ ઝપેટમાં લઈ રહ્યું છે. રાસાયણિક ખેતી અને જંતુનાશકોના આડેધડ વપરાશના કારણે નવજાત શિશુ માટે અમૃત સમાન ગણાતા માતાના દૂધમાં પણ હવે યુરિયા અને જંતુનાશકોના અંશો મળી રહ્યા છે. ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે જતો રહ્યો છે, જેથી જમીન બંજર અને કઠણ થઈ ગઈ છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી. જો દેશમાં યુરિયા-DAP ની અબજો રૂપિયાની સબસિડી બચાવીને ‘પ્રાકૃતિક ખેતી’ અપનાવવામાં આવે, તો જમીન પણ બચશે અને માણસનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
ડૉક્ટરોની સલાહ
તબીબોના જણાવ્યા અનુસાર, વહેલું નિદાન એ જ કેન્સર સામે બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જો નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવવી જોઈએ. જેમાં મોં કે ગળામાં કોઈ ગાંઠ થવી. મોઢા, જીભ કે હોઠ પરના ચાંદા 3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી સાજા ન થવા. ખોરાક ચાવવામાં, ગળવામાં કે બોલવામાં તકલીફ પડવી. અવાજમાં અચાનક ફેરફાર થવો અથવા અવાજ બેસી જવો. મોઢાની અંદર લાલ કે સફેદ ડાઘ (ચકમા) દેખાવા જેવા લક્ષણો જોવા મળે તો નજરઅંદાજ ન કરવા જોઈએ, તેમ તબીબો કહે છે.


