લગ્ન ખોટા કર્યા છે, તને સપ્તપદીનું જ્ઞાન નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ
ચોથા લગ્નમાં પણ સુખ ન મળ્યું: પતિ, સાસુ અને બિલ્ડર જેઠ સહિત સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં પરિણીતાને પતિ અને સાસરીયાઓ દ્વારા માનસિક તેમજ શારીરિક ત્રાસ આપીને અંતે પહેરેલા કપડાંમાં જ ઘરમાંથી કાઢી મુક્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પીડિતાએ મવડી-કણકોટ રોડ વિસ્તારમાં રહેતા પોતાના સરકારી નોકરીયાત પતિ, સાસુ તેમજ બિલ્ડર જેઠ-જેઠાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ફરિયાદ મુજબ, હાલ કસ્તુરી કેસર અંબીકા ટાઉનશીપમાં રહેતી 40 વર્ષીય મહિલાના લગ્ન ડિસેમ્બર 2023માં રિયાંશ કણસાગરા સાથે થયા હતા. આ મહિલાના ચોથા લગ્ન હતા, જ્યારે પતિના આ ત્રીજા લગ્ન હોવાનું જાણવા મળે છે. લગ્ન પછી શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા જ સમયમાં સાસરીયાઓ દ્વારા વર્તનમાં બદલાવ આવતાં તણાવ શરૂ થયો હતો.
મહિલાના જણાવ્યા મુજબ, લગ્નના થોડા મહિનામાં જ જુનાગઢ ખાતે રહેતા જેઠ-જેઠાણીના ઘરે જતા તેમને અપમાનજનક શબ્દો સાંભળવા પડ્યા હતા અને ત્યાં રહેવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પતિ સાથે પ્રવાસે જમ્મુ-કાશ્મીર ગયા સમયે પણ હોટલમાં જેઠ દ્વારા અયોગ્ય માંગણીઓ કરી ઝઘડો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વારંવાર ગાળો અને અપશબ્દો બોલાતા હોવાથી મહિલાને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, પતિ દ્વારા પણ અવારનવાર મારપીટ કરવામાં આવી હતી અને હાથ મરડી નાખવામાં આવ્યો હતો. મહિલાએ આ બાબત કોઈને ન કહેવા માટે ધમકી પણ આપવામાં આવી હતી. ઘરેલું જીવન દરમિયાન સાસુ અને જેઠની ચઢામણીથી પતિ સતત ઝઘડાઓ કરતા હતા અને મહિલાને અપમાનિત કરતા હતા.
પીડિતાના કહેવા મુજબ, તેને વારંવાર “તમે સંસ્કાર વગરની છો”, “લગ્ન ખોટા કર્યા છે” જેવા અપમાનજનક શબ્દો સાંભળવા પડતા હતા. પતિએ તો અહીં સુધી કહી દીધું કે “તું મારી પાસે કોઈ અપેક્ષા રાખતી નહીં, આપણો સંબંધ પૂરો થઈ જશે”. આ ઉપરાંત મહિલાને આર્થિક રીતે પણ દબાણમાં રાખવાનો પ્રયાસ થયો હતો, જેમાં તેના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ અને દસ્તાવેજો પર કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને ઘરમાં નોકરાણી જેવી સ્થિતિમાં રાખવામાં આવતી હતી, દાગીના પહેરવા દેતા નહોતા અને ઘરમાં પણ સ્વતંત્રતા નહોતી. ઘણીવાર ઘરના દરવાજા-બારીઓ બંધ કરીને તેને એકલતા અને ત્રાસમાં રાખવામાં આવી હતી. અંતે સતત ત્રાસથી કંટાળી ગયેલી મહિલાને પહેરેલા કપડાંમાં જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ સમગ્ર મામલે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિ, સાસુ, જેઠ અને જેઠાણી સામે માનસિક તેમજ શારીરિક ત્રાસ, ધમકી અને છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.


