ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા આવાસમાં કમાન્ડોનો આપઘાત
સેકટર-૨૦માં આવેલ બંગલોમાં ફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યના પાટનગરમાં પોલીસ કર્મચારીઓમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોએ ચકચાર જગાવી છે. ત્યારે ગાંધીનગરમાં વધુ એક જવાને મોતને વ્હાલું કરતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. SRP ગ્રુપ-2 માં કમાન્ડો તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અજયભાઈ પટેલે સેક્ટર-20ની યુનિવર્સિટી સામેના ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા પણ ફાળવણીના અભાવે ખંડેર બની ગયેલા સરકારી ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેક્ટર-20 ખાતે આવેલી યુનિવર્સિટીની સામે IAS, IPS સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે જે-તે સમયે બંગલો બનાવવામાં આવ્યા હતા. જોકે, કોઈ કારણોસર અમુક બંગલા ફાળવણીના અભાવે ખંડેર હાલતમાં બની ગયા છે. મૂળ માણસાના હિંમતપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે પરિવાર સાથે રહેતા અજયભાઈ રમેશભાઈ પટેલ ગાંધીનગરના સેક્ટર-20માં આવેલા પોતાના નોકરીના સ્થળની બાજુના એક ખંડેર બંગલામાં પહોંચી ગયા હતા.
બાદમાં કોઈ અગમ્ય કારણોસર તેમણે ત્યાં દોરડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેઓ એક ઉચ્ચ પોલીસ અધિકારીના ત્યાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે નિત્યક્રમ મુજબ બંગલે અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ડીજી ઓફિસના ઉચ્ચ અધિકારીએ પરિવારને પૂછ્યું હતું ત્યારે જવાબ મળ્યો હતો કે, અજયભાઈ સવારે ટિફિન લઈને નોકરીએ આવવા નીકળ્યા છે પરંતુ, અજયભાઈ નોકરીએ નહીં પહોંચતા ઉચ્ચ અધિકારીએ તેમનું લોકેશન કઢાવી તપાસના આદેશો આપ્યા હતા. જેના પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
જો કે ટેકનિકલ સોર્સના માધ્યમથી અજયભાઈ પટેલ સેક્ટર 20 ખાતે જ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસ કાફલો લોકેશન ટ્રેક કરીને સેક્ટર 20 ખાતે પહોંચ્યો ત્યારે અજયભાઈનું બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવતા તેઓ જ્યાં નોકરી હતી એના બાજુના ખંડેર બંધ હાલતના બંગલાના બાથરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અજયભાઈના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પરંતુ કયા માનસિક તણાવ કે કારણોસર તેમણે આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં મૃતકનો પરિવાર ઘેરા શોકમાં હોવાથી તેમની વિસ્તૃત પૂછપરછ બાકી છે.


