જળશક્તિ મંત્રીના હસ્તે સિહોરના બુઢણા ગામે ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ
સુરતના ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણીના સહયોગથી સાકાર થયું જળસંચયનું ભગીરથ કાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
જળસંચય માટે 1,11,111 જળ સ્ટ્રકચરોનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામે આગામી તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૬ ને શુક્રવારના રોજ ડી.બી. તેજાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બુઢણા ખાતે એક ઐતિહાસિક લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે નવનિર્મિત ભવ્ય ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ અને જલ વધામણાંનો મહોત્સવ સંપન્ન થશે.
આ ભગીરથ કાર્ય વતનના રત્ન અને સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણીના સખાવતી સહયોગથી સાકાર થયું છે. વતનની માટીનું ઋણ અદા કરવાના ઉમદા હેતુ સાથે અનુભાઈ તેજાણીએ આ વિસ્તારમાં જળસંચયના અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરવાની સાથે બુઢણા અને આસપાસના વિસ્તારને હરિયાળું બનાવવા હજારો વૃક્ષોનું વાવેતર પણ હાથ ધર્યું છે.
આ સાથે જ, સિહોર વનવિભાગ દ્વારા આયોજિત ‘વનકવચ’ તેમજ વૃક્ષારોપણ યોજનાનું ભૂમિપૂજન કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન બુઢણા ગામમાં દિવસ-રાત જોયા વગર જળ સંચયનું કાર્ય કરનાર સ્થાનિક કર્મયોગીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે.
આ મહોત્સવમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપ અગ્રણીઓ ભરતભાઈ બોધરા, મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, અગ્રણી ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દિવ્યરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, તાલુકા પંચાયત પ્રમુખ વિમળાબેન ચૌહાણ અને ઉદ્યોગપતિ જસમતભાઈ વીડીયા સહિતના મહાનુભાવો અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.


