જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ
સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પરિવારને વીજકંપનીની બેદરકારીનો લાગ્યો ઝાટકો
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી પીજીવીસીએલ (PGVCL) કંપનીની એક ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે, જેને કારણે એક ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ ગણેશનગર વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય મજૂર પરિવારને અધધ ₹૩૨,૭૨,૨૨૨ નું વીજ બિલ મળતા પરિવારના હોશ ઊડી ગયા છે. સામાન્ય રીતે જે ઘરનું બિલ માત્ર એક-બે હજાર રૂપિયા આવતું હોય, ત્યાં લાખો રૂપિયાનું બિલ ડિસ્પ્લે થતાં ગ્રાહકને મોટો આંચકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, ગણેશનગરમાં રહેતા અને કંપનીમાં મજૂરી કામ કરતા અભયસિંહ રાઠોડ દ્વારા પોતાની પત્ની દીપિકા રાઠોડના નામે વીજ કનેક્શન લેવામાં આવ્યું છે. અગાઉ તેમનું મીટર ફોલ્ટ થતાં ગત ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ નવું સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટર લાગ્યા બાદ જ્યારે ગુગલ પે (Google Pay) એપ્લિકેશન પર બિલ ચેક કરવામાં આવ્યું, ત્યારે તેમાં ₹૩૨.૭૨ લાખથી વધુની રકમ જોઈને આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ ઘટનાને પગલે ગભરાયેલા મજૂર પરિવારે જૂનું સાદું મીટર ફરીથી લગાવી આપવાની માંગ કરી છે.
મકાન માલિક અભયસિંહ રાઠોડ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે “હું કંપનીમાં મજૂરી કામ કરીને માંડ દિવસના ૭૦૦-૮૦૦ રૂપિયા કમાઉં છું. છેલ્લા ૬ વર્ષથી અમે અહીં રહીએ છીએ અને અમારું બિલ ક્યારેય ૧૫૦૦ કે ૨૦૦૦ રૂપિયાથી વધુ નથી આવ્યું. નવું સ્માર્ટ મીટર લગાવ્યા પછી સીધું ૩૨ લાખ ૭૨ હજાર રૂપિયાનું બિલ આવ્યું છે! આ આંકડો જોઈને છેલ્લા ૨૪ કલાકથી અમારા ઘરમાં જમવાનું પણ નથી બન્યું. અમે ભારે ટેન્શનમાં છીએ. જો હું મારી આખી જિંદગીની કમાણી કે ગામની જમીન અને ઘર વેચી દઉં, તો પણ આટલી રકમ ચૂકવી શકું તેમ નથી. અમારી માંગ છે કે પીજીવીસીએલ અમારું સાદું મીટર પાછું લગાવે અને જે સાચું બિલ હોય તે જ અમારી પાસેથી લેવામાં આવે.”
આ બાબતે પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ. એમ. સરધારા એ જણાવ્યું કે “ગ્રાહકના બિલની વિગતોના આધારે અમારા બિલિંગ વિભાગમાં તપાસ કરવામાં આવી છે. ગ્રાહકના મોબાઈલમાં જે બિલનો મેસેજ દેખાઈ રહ્યો છે તે ખરેખર સિસ્ટમમાં ભૂલ (Error) હોવાને કારણે ઓટોમેટિક જનરેટ થઈને પહોંચી ગયો છે. પીજીવીસીએલ કંપની દ્વારા સિસ્ટમમાંથી આવું કોઈ ઓફિશિયલ બિલ બનાવવામાં આવ્યું નથી. સિસ્ટમની ટેકનિકલ ખામીના કારણે જ આ મેસેજ ગ્રાહક સુધી પહોંચ્યો છે.
આ કિસ્સાએ PGVCLની કામગીરી પર અને તેમની ઓટોમેટેડ સિસ્ટમની ચોકસાઈ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સામાન્ય મજૂર પરિવારને પડતી આ મુશ્કેલી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.
અમુ સિંગલ જેતપુર


