લીલીયાના અંટાળીયા ગામે સિંહની પજવણી કરનાર બે શખ્સોની ધરપકડ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલીના લીલીયા રેન્જ હેઠળ આવતા અંટાળીયા ગામમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં સિંહ જ્યારે મેટિંગમાં હતો ત્યારે સિંહ દર્શન કરનાર ૨૧ વર્ષીય યુવક સોહીલ મુજાવરને સિંહે ફાડી ખાધો હતો. વન વિભાગે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરી છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સોહીલ મુજાવર ઉપરાંત અન્ય બે શખ્સો સિંહ દર્શનમાં સામેલ હતા. આ અંગે વન વિભાગે મૃતક સાહિલ (સોહીલ) મુજાવર, રહાનખાન પઠાણ (રહે. અમરેલી) અને યુવરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા) સહિત કુલ ૩ શખ્સો સામે કાયદેસરનો ગુન્હો દાખલ કર્યો છે. વન વિભાગની ટીમે સિંહ દર્શન અને પજવણી દરમિયાન જ ત્વરિત કાર્યવાહી કરીને ૨ શખ્સોને દબોચી લીધા હતાં. આ બંને શખ્સો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિંહના આ બનાવને ખૂબજ ગંભીરતાથી લેવા અને વન્યજીવોની સુરક્ષામાં ખલેલ પહોંચાડતા તત્વો સામે કડક પગલાં ભરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.


