‘રિંગણા લવ બે ચાર લ્યોને દસ બાર’ જેવો મનપામાં ઘાટ સર્જાયો
જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત
વેસ્ટઝોનમાં વિવિધ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કામગીરી શરૂ : મનપા ફરી રૂ.3૪૮.૭૫ કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરશે
૧-બીએચકે રૂ.૭ લાખ અને ૨-બીએચકે રૂ.૯ લાખ સુધીમાં વહેંચાશે : વિવિધ પેકેજમાં આવાસોનું નિર્માણ કરાશે
મવડી-કણકોટ રોડ પર 3૧૫ અને ૫૬૦ આવાસો બનાવાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સામાન્ય પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા આવાસ યોજનાની જોગવાઇ કરવામાં આવી છે. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં આવાસ નિર્માણ કરવામાં આવ્યાં છે. પરંતુ તે નહી વેંચાતા જર્જરીત થઇ ગયા હતા અને તેના રિનોવેશન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને વેંચવા કાઢયા છે અને તેમાં પણ લોકો ઉદાસીનતા દાખવી રહ્યાં છે તથા ફરી ૨૬૭૯ નવા આવાસ બનાવવાની મનપા દ્વારા જાહેરાત કરાઇ છે.
રાજકોટમાં વસતા અને ઘરના ઘરનું સપનું જોતા હજારો પરિવારો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય શહેરીજનોને પરવડે તેવા ભાવે ઘરનું ઘર પૂરું પાડવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોનના વિવિધ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના (એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ) અંતર્ગત નવા 2679 આવાસો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સિટી એન્જિનિયર પરેશ અઢિયાના જણાવ્યાં મુજબ, આ વિશાળ પ્રોજેક્ટ પાછળ મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ. 348.75 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરવામાં આવનાર છે અને આ માટે સત્તાવાર રીતે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ આવાસ માટેની કિંમત 1-BHKનાં માત્ર રૂ. 7 અને 2-BHKનાં 9 લાખ સુધી રાખવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આવાસ બનતા હજારો મધ્યમવર્ગીય પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાપાલિકાને આગામી સમય માટે કુલ 30000 આવાસો બનાવવાનો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને પૂર્ણ કરવાની દિશામાં મક્કમ પગલું ભરતા તંત્ર દ્વારા પ્રથમ તબક્કામાં 2679 આવાસોના નિર્માણની મંજૂરી આપીને પ્રક્રિયા વેગવંતી કરવામાં આવી છે. આ આવાસ યોજનામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બે અલગ-અલગ કેટેગરીના આવાસો બનાવવાનું આયોજન છે, જેમાં EWS-1 (વન બેડરૂમ, હોલ, કિચન) અને EWS-2 (ટુ બેડરૂમ, હોલ, કિચન) પ્રકારના આધુનિક આવાસોનો સમાવેશ થાય છે. આ આવાસ યોજનાઓ આકાર લેવાથી રાજકોટના હજારો પરિવારોને વ્યાજબી કિંમતે તમામ સુવિધાયુક્ત પાકું મકાન ઉપલબ્ધ બનશે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ તેમજ પાણી સહિત તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે.
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, સમગ્ર પ્રોજેક્ટને અલગ-અલગ પેકેજમાં વહેંચીને કામગીરીનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેકેજ-4 અંતર્ગત ટીપી સ્કીમ નંબર 16માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-2 પ્રકારના કુલ 875 આવાસો બનાવવામાં આવશે. જ્યારે પેકેજ-5 અંતર્ગત ટીપી સ્કીમ નંબર 10માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 ટાઇપના 684 આવાસોનું નિર્માણ કરવામાં આવશે.
રાજકોટના પશ્ચિમ વિસ્તારના મોકાના અને પ્રગતિશીલ સ્થળો પર આ આવાસોનું નિર્માણ થવા જઇ રહ્યું છે. યોજના હેઠળ મવડી-કણકોટ રોડ પર બે અલગ-અલગ મોકાના સ્થળોએ અનુક્રમે 315 અને 560 આવાસો બનશે. આ ઉપરાંત કટારીયા ચોકડી પાસે બીજા રિંગ રોડ પર 576 આવાસો, કોસ્મોપ્લેક્સ સિનેમાની પાછળના ભાગમાં 108 આવાસો, કાલાવડ રોડ પર આવેલી જીનિયસ સ્કૂલ પાછળ આંબેડકર હોસ્ટેલ રોડ પર 320 આવાસો, મુંજકા વિસ્તારમાં 216 આવાસો તેમજ જેટકો ચોકડી પાસે 248 આવાસો સહિત કુલ 2679 આવાસોનું ભવ્ય બાંધકામ કરવામાં આવશે. મનપા દ્વારા દાવા કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારો કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ ઉત્તમ હોવાથી લાભાર્થી પરિવારોનું જીવનધોરણ ખૂબ જ સુવિધાજનક બનશે.
આ સરકારી આવાસ યોજનાનો લાભ સમાજના વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે સરકારે આવક મર્યાદા અને સબસિડીના ધોરણો પણ ખૂબ જ પારદર્શક રાખ્યા છે. EWS-1 કેટેગરીના વન બેડરૂમ, હોલ અને કિચન ધરાવતા આવાસો માટે અરજદાર પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 3,00,000 સુધીની નક્કી કરવામાં આવી છે. આ કેટેગરીના મકાનોનું કાર્પેટ એરિયા સહિતનું કુલ બાંધકામ 30 ચોરસ મીટરનું રહેશે. બીજી તરફ, મધ્યમવર્ગ માટેના EWS-2 એટલે કે ટુ બેડરૂમ, હોલ અને કિચન (2 BHK) ધરાવતા ફ્લેટ્સ માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. 5,50,000 રાખવામાં આવી છે, અને આ મકાનો 40 ચોરસ મીટરના આરામદાયક એરિયામાં બનાવવામાં આવશે.
ટીપી ૧૦, ૧૬, ૧૮માં ૯ થી ૧૪ માળની ઇમારત બનશે
આ ઉપરાંત, પેકેજ-6 અંતર્ગત ટીપી સ્કીમ નંબર 10 અને 16 (મોટામવા) તેમજ ટીપી સ્કીમ નંબર 18 (મુંજકા)માં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની વિશાળ જગ્યા સાથે 9 માળથી લઇને છેક 14 માળ સુધીની ગગનચુંબી EWS-2 આવાસ યોજનાઓ આકાર લેશે. આ ગગનચુંબી ઇમારતો માત્ર રહેણાંક પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની સાથે કમર્શિયલ શોપ્સ અને અન્ય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પણ ઊભી કરાશે, જેથી સ્થાનિક રહીશોને રોજિંદી ચીજવસ્તુઓ મેળવવામાં સરળતા રહેશે.
સબસીડીની પણ વ્યવસ્થા
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ ઓછો થાય તે માટે આ યોજનામાં સરકાર દ્વારા ખૂબ જ મોટી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દરેક આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2,50,000ની માતબર સબસિડી સીધી આપવામાં આવશે. આ સરકારી સહાય બાદ કરતાં લાભાર્થી પરિવારે પોતાના ઘરના માલિક બનવા માટે 1-BHKનાં માત્ર રૂ. 7,00,000 અને 2-BHKનાં માત્ર રૂ. 9,00,000 જ ચૂકવવા પડશે.


