રાજકોટ જિલ્લાની ૮૦૦થી વધુ શાળામાં કાલથી પ્રવેશોત્સવનો પ્રારંભ
IAS, IPS, IFS સહિતના વરિષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવશે
દિવ્યાંગ તેમજ ડ્રોપઆઉટ બાળકોનો સરળતાથી પ્રવેશ થાય તેના પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે આ વર્ષે ૨૩થી ૨૫ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૨૩મી જૂનથી ૧૧ તાલુકાની ૮૦૦થી વધુ શાળાઓમાં ત્રિ-દિવસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. સહિતના વરીષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તરફથી મળતી માહિતી મુજબ, આ વર્ષે જિલ્લામાં ૧૧ તાલુકામાં ૬૯ જેટલા રૂટની ૮૦૦થી વધુ શાળાઓમાં પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. આ દરમિયાન આઈ.એ.એસ. નેહાકુમારી (મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન), આઈ.પી.એસ. વલય વૈદ્ય (સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ), આઈ.પી.એસ. સાહિત્ય વી. (એસ.પી. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર), આઈ.એફ.એસ. જી.આર. મુર્થી (એ.પી.સી.સી.સી.એફ. નાણાકીય પ્રબંધન અને આયોજન, ગાંધીનગર), જ્વાલરી ઝા, સંયુક્ત સચિવ (સ્કૂલ કંટ્રોલ, ગુજરાત રાજ્ય હાયર સેકન્ડરી એજ્યુ. બોર્ડ) સહિતના ઉચ્ચ અધિકારીઓ વિવિધ રૂટની શાળાઓમાં ઉપસ્થિત રહીને કુમાર તેમજ કન્યા છાત્રોનો શાળાપ્રવેશ કરાવીને શિક્ષણને પ્રોત્સાહન આપશે. આ અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈને માળખાકીય સુવિધાઓ તેમજ વાલીઓ સાથે મીટિંગ કરીને શાળાકીય શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા માટે તેમજ વિદ્યાર્થીઓની નિયમિત રીતે અભ્યાસ કરે તે બાબતે મંથન પણ કરવામાં આવશે.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે હાલમાં જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે જિલ્લામાં દિવ્યાંગ બાળકોને શાળાપ્રવેશમાં ક્યાંક તકલીફ ન પડે અને તેઓનો સરળતાથી, ઉત્સાહભેર શાળા-પ્રવેશ થાય તે ખાસ જોવા જણાવ્યું હતું. ઉપરાંત ધો.૯થી ૧૨ના ડ્રોપઆઉટ છાત્રોના પુનઃ શાળાપ્રવેશ પર તેમણે ખાસ ભાર મુક્યો હતો. પ્રવેશોત્સવમાં જનારા અધિકારીઓને તેમણે પ્રવેશોત્સવ બાદ શાળાની મુલાકાત લઈ તેમજ શિક્ષકો-વાલીઓ સાથે બેઠક કરીને શાળામાં શિક્ષણની ગુણવત્તા વધે તેવા પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે એક શાળાની મુલાકાતનું ઉદાહરણ રજૂ કરીને દિવ્યાંગ બાળકોના શાળા-પ્રવેશ અને અભ્યાસ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જવા પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્માર્ટ કલાસ, લેબ નહીં હોય તો કાર્યવાહી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ડિજિટલ શિક્ષણ માટે ફાળવવામાં આવેલા ‘જ્ઞાનકુંજ’ (સ્માર્ટ ક્લાસ) અને ‘ICT’ લેબ (કોમ્પ્યુટર લેબ)ને સંપૂર્ણપણે કાર્યરત રાખવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. જો, કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ ક્લાસ કે કમ્પ્યુટર લેબ બંધ હાલતમાં વપરાશ વગરની જણાશે તો કાર્યવાહી કરાશે. સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા સત્તાવાર પત્ર લખીને વિશેષ જાળવણી કરવાના આદેશ આપ્યા છે.
પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ દરમિયાન જો કોઈપણ શાળામાં સ્માર્ટ ક્લાસ કે કોમ્પ્યુટર લેબનું કોઈ પણ કોમ્પ્યુટર બંધ હાલતમાં અથવા બિન-વપરાશી જોવા મળશે, તો તેની સીધી જવાબદારી જે તે જિલ્લાના MIS કો-ઓર્ડિનેટરની રહેશે. આ બાબતમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં.


