રાજુલાના હિંડોરણા ગામે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા અંગે બેઠક
ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત દેશભરમાંથી ૪૦ કરોડ હસ્તાક્ષર સાથેનું પ્રાર્થના પત્ર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને અપાશે
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે આવેલા રામજી મંદિર ખાતે ગૌ સન્માન અભિયાનના ઉદ્દેશ્ય સાથે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાનો છે. પૂજ્ય ગોપાલનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન ‘ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો’ કંઇ રીતે મેળવી શકાય દેશમાં ગૌ-હત્યા સંપૂર્ણપણે બંધ થાય તેમજ ગૌ વંશના સંવર્ધન અને સન્માન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગૌ સન્માન આહ્વાન અભિયાનને વ્યાપક બનાવવા માટે દેશભરમાંથી ૪૦ કરોડ હસ્તાક્ષર(સહી) મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ હસ્તાક્ષર સાથેનું એક વિશાળ પ્રાર્થના પત્ર દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વિવિધ રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને સુપ્રત કરવામાં આવશે. હિંડોરણા ગામે યોજાયેલી આ બેઠકમાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ અજયભાઇ વાળા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, વિનુભાઇ પરમાર, હિંડોરણા સરપંચ સામતભાઇ પટાટ, સંતો-મહંતો, ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અને અભિયાનને સફળ બનાવવાનો સંકલ્પ લીધો હતો.


