ઉપલેટાના ખારચીયા ગામના ૧૬ સભ્યોને હાઇવે પરની હોટલમાં નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ
પ્રવાસથી પરત ફરતી વખતે દ્વારકેશ હોટલમાં છાશ અને પફ ખાધા બાદ તબિયત લથડી
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામના એક જ પરિવારના ૧૬ જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક ધોરણે ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પરિવાર હર્ષદ, દ્વારકા, બેટ દ્વારકા અને પોરબંદર ખાતે પ્રવાસ માટે ગયો હતો.
દર્દીઓ અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રવાસથી પરત ફરતી વખતે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેઓએ પોરબંદર-ઉપલેટા રોડ પર ગણોદના પાટિયા પાસે આવેલી ‘દ્વારકેશ હોટલ’ ખાતે નાસ્તા માટે હોલ્ટ કર્યો હતો. પરિવારના સભ્ય જીગ્નેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓએ હોટલમાં છાશ પીધી હતી અને પફ ખાધા હતા. ત્યારબાદ ઘરે પહોંચ્યા પછી તરત જ પરિવારના સભ્યોને ઉલ્ટીઓ થવા લાગી હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે કેટલાક સભ્યોને લોહીની ઉલ્ટીઓ પણ શરૂ થઈ ગઈ હોવાનું પરિવાર દ્વારા જણાવાયું છે.
પરિવારના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બાળકો, મહિલાઓ અને પુરુષો સહિતના તમામ ૧૬ અસરગ્રસ્તોને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ૧૦ જેટલા દર્દીઓને બાટલા ચડાવવામાં આવી રહ્યા છે અને અન્યને દવા તથા ઇન્જેક્શન દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.
તબિયત લથડવાનું પ્રાથમિક કારણ હોટલનો નાસ્તો હોવાનું આ બાબતે દર્દી અને તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે, છતાં ચોક્કસ કારણ અંગે તબીબી તપાસ ચાલુ છે. હાલ સંપૂર્ણ પરિવાર ડોક્ટરોની દેખરેખ હેઠળ કાળાભાઈ ગોકળભાઈ ચૌહાણ (ઉ.વ. ૭૦, ખારચીયા), જયેશભાઈ કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૨, ખારચીયા) , સોનીબેન કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. ૬૫, ખારચીયા) , મધુબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૮, ખારચીયા) , હરેશભાઈ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૭, ખારચીયા) , કમલેશ જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૨, ખારચીયા) , ભુમિકાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૦, ખારચીયા) , મીત હરેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૬.૫, ખારચીયા) , પ્રિયાંશી હરેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૧.૫, ખારચીયા) , હેતાંશ ભૌતિકભાઈ વાઘેલા (ઉ.વ. ૨.૫, ખારચીયા) , ભાવનાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૨, ખારચીયા) , જીગ્નેશ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૫, ખારચીયા) , રેનિશ રાજેશભાઈ વાઘેલા (ઉ.વ. ૧૯, ખારચીયા) , કાજલબેન હરેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦, ખારચીયા) ભૌતિક જયેશભાઈ વાઘેલા (ઉ.વ. ૨૨, ખારચીયા) , સહદેવ વિજયભાઈ ડાભી (ઉ.વ. ૧૯, ખારચીયા)ની સારવાર ચાલી રહી છે.


