ધંધાની હરીફાઈ લોહિયાળ બની
મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત
સમાધાન માટે થયેલી બેઠક લોહિયાળ બની; કાકા પણ ગંભીર રીતે થયા હતા ઘાયલ, સારવાર દરમિયાન દમ તોડતા બનાવ હત્યામાં પરિણમ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં ધંધાકીય હરીફાઈ અને જૂના મનદુઃખે અંતે એક યુવાનનો જીવ લીધો છે. ફોટો ફ્રેમના વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલ જાદવ પર તેના જ કૌટુંબિક મામાના દીકરાઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગોપાલનું મોડી રાત્રે મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. આ ઘટનાએ શિવાજીનગર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.
મળતી માહિતી મુજબ, શિવાજીનગર વિસ્તારમાં રહેતા ગોપાલ જાદવ ફોટો ફ્રેમ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આરોપી અનિલ પરમાર અગાઉ ગોપાલના કારખાનામાં કામ કરતો હતો. ત્યાંથી કામ શીખ્યા બાદ તેણે પોતાનો અલગ વ્યવસાય શરૂ કર્યો હતો. ફરિયાદ મુજબ, અનિલ ગ્રાહકોને ઓછા ભાવે કામ કરી આપતો હોવાથી બંને વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ મુદ્દે બંને વચ્ચે અનેક વખત બોલાચાલી પણ થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, આ વિવાદનો અંત લાવવા અને સમાધાનનો રસ્તો કાઢવા ગોપાલ પોતાના કાકા વિજય જાદવ સાથે અનિલ પરમારના ઘરે પહોંચ્યો હતો. પરંતુ સમાધાનની આશાએ ગયેલી મુલાકાત અચાનક હિંસક બની ગઈ. આરોપ છે કે અનિલ પરમાર, તેનો ભાઈ સુનિલ પરમાર, પિતા રમેશભાઈ, માતા હંસાબેન તેમજ કાકા ભરતભાઈ ત્યાં હાજર હતા અને વાતચીત દરમિયાન ઉશ્કેરાટ ફેલાતા હુમલો કરવામાં આવ્યો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુનિલ પરમારે પહેલા વિજય જાદવ પર છરીથી હુમલો કરી તેમના પેટમાં ઘા ઝીંક્યો હતો. કાકાને બચાવવા વચ્ચે પડેલા ગોપાલને આરોપીઓએ પકડી રાખ્યો અને અનિલ પરમારે “આને જાનથી મારી નાખવો છે, ધંધામાં આગળ આવવા દેતો નથી” તેમ કહી પેટના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન લાકડાના ધોકા તેમજ અન્ય હથિયારોનો પણ ઉપયોગ થયો હોવાનું જણાવાયું છે. ઘટના બાદ ગોપાલે પોતાના ઓળખીતા ભરતભાઈને ફોન કરીને પોતાને છરી મારવામાં આવી હોવાની જાણ કરી તાત્કાલિક સ્થળ પર આવવા કહ્યું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્ત ગોપાલ અને વિજય જાદવને પરિવારજનો તથા મિત્રોની મદદથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોપાલની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. લગભગ ચાર કલાક સુધી સર્જરી ચાલી હતી અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં ગોપાલ સારવાર દરમિયાન જીવનની જંગ હારી ગયા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદથી કરુણ દૃશ્યો સર્જાયા હતા. ગોપાલના અવસાન બાદ પોલીસે અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં હવે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ રાહુલ જાદવે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપીઓ સામે પૂર્વયોજિત હુમલો કરીને જીવલેણ ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓની ભૂમિકા, ઘટનાસ્થળે હાજર રહેલા લોકોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, સામા પક્ષે પણ પોતાને હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ભરતભાઈ નાનજીભાઈ પરમાર અને રમેશભાઈ નાનજીભાઈ પરમારને પણ ઇજા થતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ગોપાલ જાદવ, વિજય જાદવ, રાહુલ જાદવ અને તેમની સાથે આવેલા અન્ય લોકોએ ઘરની બહાર આવી ઝઘડો કરી તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષની રજૂઆતોને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે.
મૃતક ગોપાલ જાદવ પોતાના પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત આઠ વર્ષની દીકરી અને પાંચ વર્ષનો એક દીકરો છે. બીજી તરફ, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજય જાદવને પણ સારવાર આપવામાં આવી રહી છે. તેમના પરિવારમાં એક દીકરો અને બે દીકરીઓ છે.
પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનાનું મૂળ કારણ ફોટો ફ્રેમના વ્યવસાયમાં ઉભી થયેલી હરીફાઈ અને લાંબા સમયથી ચાલતો વિવાદ હોવાનું સામે આવ્યું છે. સમાધાન માટે યોજાયેલી બેઠક લોહિયાળ અથડામણમાં ફેરવાતા એક વ્યક્તિનો જીવ ગયો છે, જ્યારે બંને પરિવારો વચ્ચેનો વિવાદ હવે કાનૂની લડાઈ સુધી પહોંચી ગયો છે. થોરાળા પોલીસ સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અન્ય પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


