સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થયા બાદ લેવાયો નિર્ણય
ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત
રાજય સરકાર દ્વારા નવી તારીખો જાહેર કરાશે : અંદાજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ : નવો કાર્યક્રમ જાહેર થવાની વર્તુળોમાં થતી ચર્ચા
મોટાભાગનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં ફાળવી દેતા વસ્તી ગણતરીને અસર ન થાય તે માટે કામગીરી પાછી ઠેલવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજયમાં તા.૫ એપ્રિલથી વસ્તી ગણતરીનો પણ પ્રારંભ થવાનો હતો. પરંતુ સરકાર દ્વારા વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે અને સંભવિત ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે.
ચૂંટણી કામગીરીમાં મોટાભાગનો સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. જેથી ચૂંટણી અને વસ્તી ગણતરીની પ્રક્રિયા એક સાથે કરવામાં મુશ્કેલી સર્જાય શકે તેવા એંધાણ દેખાતા વસ્તી ગણતરી પાછી ઠેલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હોય તેવી ચર્ચા તંત્રના સુત્રોમાં થઇ રહી છે.
ગુજરાતમાં 5 મી તારીખથી વસતિ ગણતરી શરૂ નહીં થાય. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. રાજ્યમાં પહેલાં ઓનલાઇન વસતિ ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી. દરમિયાનમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે વસતિ ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે. આ કાર્યક્રમ ક્યારથી શરૂ થશે તેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસતિ ગણતરીની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી દીધી છે.
દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. જે 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ‘હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં થશે. તેમાં લોકોને તેમની જાતિ પૂછવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પહેલા 1931માં આવું થયું હતું. વસતિ ગણતરી દરમિયાન તમને કુલ 33 પ્રશ્નો પૂછાશે. આ વસતિ ગણતરીમાં કયા પ્રકારના સવાલો પૂછવામાં આવશે તે અંગે સોશિયલ મીડિયામાં ધૂમ મેસેજો વાયરલ થઇ રહ્યાં હતા. જો કે ગુજરાત સરકારે આ કાર્યક્રમને મોકૂફ રાખવાનું નોટિફિકેશન બહાર પાડતાં જ સમગ્ર ચર્ચા પર હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.
રાજ્યમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી થશે.
પહેલીવાર સંપૂર્ણપણે ડિજિટલ વસતિ ગણતરી
દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. કર્મચારીઓ મોબાઇલ એપથી ડેટા સીધા તેમના સ્માર્ટફોન પર એકત્રિત કરશે. પહેલાં વસતિ ગણતરીના આંકડા કાગળ પર નોંધવામાં આવતા હતા અને પછી તેમને ડિજિટાઇઝ કરવામાં આવતા હતા. આમાં ઘણો સમય લાગતો હતો. મકાનોની ગણતરીમાં જિયો-રેફરન્સિંગ ટેકનિકનો ઉપયોગ થશે. દરેક ઘરનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધવામાં આવશે. જેથી કોઇ મકાન છૂટી ન જાય અને કોઇની ફરીથી ગણતરી ન થાય.
તબક્કો 1 – ઘરોની યાદી અને રહેઠાણ ગણતરી (HLO):
આ તબક્કો એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે છ મહિનામાં પૂર્ણ થશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમની સુવિધા મુજબ 30 દિવસની અંદર આ કવાયત હાથ ધરશે. આ પહેલા 15 દિવસનો સ્વ-ગણતરી સમયગાળો શરૂ થશે. આ તબક્કો ઘરોની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરગથ્થુ સંપત્તિઓની માહિતી એકત્રિત કરશે. આ તબક્કાને લગતા પ્રશ્નો જાન્યુઆરી 2026 માં સૂચિત કરવામાં આવ્યા છે.
બીજો તબક્કો – વસ્તી ગણતરી:
આ તબક્કો ફેબ્રુઆરી 2027 માં હાથ ધરવામાં આવશે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના બિન-સંલગ્ન વિસ્તારોમાં, આ તબક્કો સપ્ટેમ્બર 2026 માં હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, આ તબક્કામાં જાતિવાર ગણતરી પણ હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં દરેક વ્યક્તિ પાસેથી વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, શૈક્ષણિક, સ્થળાંતર અને પ્રજનનક્ષમતા માહિતી એકત્રિત કરવામાં આવશે. ચોક્કસ સમયપત્રક અને પ્રશ્નો પછીથી સૂચિત કરવામાં આવશે.


